દેશ-વિદેશ

Violence in Manipur : PM મોદીની મુલાકાતના બીજા દિવસે જ પોલીસ સ્ટેશન પર હુમલો

મણિપુરમાં ફરી હિંસાની આગ ભભૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના બીજા જ દિવસે, રવિવારે ચુરાચંદપુર જિલ્લામાં સ્થાનિક ભીડે પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સુરક્ષા દળો સાથે અથડામણ સર્જાઈ હતી.

બંને યુવાનોની મુક્તિની માંગણી કરી

માહિતી મુજબ, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન લગાવવામાં આવેલા બેનર અને કટઆઉટ ફાડવા બદલ બે યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

રવિવારે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને બંને યુવાનોની મુક્તિની માંગણી કરી. ટૂંક સમયમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ અને દેખાવકારોએ રેપિડ એક્શન ફોર્સ (RAF) ના જવાનો પર પણ પથ્થરમારો કર્યો.

તોડફોડના સ્થળેથી પૂછપરછ માટે લાવવામાં આવ્યા

એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ભીડે ચુરાચંદપુર પોલીસ સ્ટેશનમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો. બપોરે થયેલા આ દેખાવ દરમિયાન RAF કર્મચારીઓ પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

ફરજ મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી બાદ બંને યુવાનોને જામીન પર મુક્ત કરાયા. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે બંનેની અચાનક અટકાયત કરવામાં આવી ન હતી,

પરંતુ તોડફોડના સ્થળેથી પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. અંતે, તેમની મુક્તિ બાદ પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ. આ બનાવે મણિપુરમાં ફરીથી શાંતિ-સુરક્ષાને લઈને ચિંતાઓ ઊભી કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button