ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. T-20 વર્લ્ડ કપ દરમિયાન રિંકુના પિતા ખાનચંદ સિંહનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. પરિવાર પર આ આઘાતજનક ઘટના વચ્ચે રિંકુ માટે માનસિક રીતે મુશ્કેલ સમય શરૂ થયો છે.
લિવર કેન્સર સામેની લાંબી લડત
ખાનચંદ સિંહ છેલ્લા કેટલાક સમયથી ચોથા સ્ટેજના લિવર કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તબિયત બગડતાં તેમને ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમને મિકેનિકલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા તેમજ કિડની રિપ્લેસમેન્ટ થેરાપી આપવામાં આવી રહી હતી. તબીબોના સતત પ્રયાસો છતાં તેઓને બચાવી શકાયા નહોતા.
વર્લ્ડ કપ વચ્ચે માનસિક સંઘર્ષ
દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમ ચેન્નાઈ પહોંચી હતી. એ દરમિયાન પિતાની ગંભીર હાલતના સમાચાર મળતા જ રિંકુ તાત્કાલિક ટીમ છોડીને પરિવાર પાસે પહોંચ્યો હતો. પછી ઝિમ્બાબ્વે સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા તે ફરી ટીમ સાથે જોડાયો હતો, જોકે તેને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું નહોતું. 26 ફેબ્રુઆરીએ ભારતે આ મેચ જીતી લીધી હતી, પરંતુ રિંકુ માટે આ જીતનો આનંદ પિતાના અવસાનના દુઃખમાં ફેરવાઈ ગયો.


Leave a Comment