લોકપ્રિય ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શૉની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી એક જ સવાલ ચાહકોના મનમાં સતત ગુંજતો રહ્યો છે, દયાબેન ફરી શૉમાં ક્યારે પાછા ફરશે? હવે આ મુદ્દે શૉમાં અબ્દુલનું પાત્ર ભજવનારા અભિનેતા શરદ સંકલાએ ખુલ્લીને પોતાની વાત રજૂ કરી છે.
દયાબેનની વાપસી પર અબ્દુલનું સ્પષ્ટ નિવેદન
એક તાજેતરના ઇન્ટરવ્યૂમાં શરદ સંકલાએ દયાબેનની વાપસી અંગે મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે, “હવે મને એવું નથી લાગતું કે દિશા વાકાણીનું શૉમાં પાછું આવવું ચોક્કસ છે. જોકે, ટેલિવિઝનની દુનિયામાં કંઈ પણ શક્ય છે. તે પાછા ફરે પણ શકે અને ન પણ ફરે.” શરદે વધુમાં જણાવ્યું કે શૉના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી હંમેશા એવું ઈચ્છે છે કે કોઈ પણ કલાકાર શૉ છોડીને ન જાય. તેમના કહેવા પ્રમાણે, “પ્રોડ્યુસર આજે પણ દિશા વાકાણીની રાહ જોઈ રહ્યા છે.”
દયાબેન વગર પણ શૉની સફળતા યથાવત
શરદ સંકલાએ એ પણ સ્વીકાર્યું કે દિશા વાકાણીએ લગભગ આઠ વર્ષ પહેલા, એટલે કે સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ લીધા બાદ શૉ છોડ્યો હતો. તેમ છતાં, આટલા લાંબા સમય પછી પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. તેમણે કહ્યું, “આ વાત ખૂબ મોટી છે કે આટલા વર્ષો પછી પણ દર્શકો દયાબેનને ભૂલી શક્યા નથી. તેનો અર્થ એ થાય છે કે પાત્રનો ક્રેઝ આજે પણ અકબંધ છે.”
દિશા વાકાણીનું પાત્ર ફરી કોઈ ભજવી શકે?
દયાબેનનું પાત્ર ફરી કોઈ નવો કલાકાર ભજવી શકે કે નહીં, તે મુદ્દે પણ શરદ સંકલાએ પોતાની શંકા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે “દયાબેનનું પાત્ર દિશા વાકાણીએ ખૂબ જ અનોખી રીતે જીવંત બનાવ્યું છે. તેમની બોલવાની શૈલી, અવાજ અને હાવભાવ સામાન્ય જીવનથી એકદમ અલગ છે. તે એક તાલીમબદ્ધ સ્ટેજ આર્ટિસ્ટ છે.” તેમણે ઉમેર્યું કે જો નવો કલાકાર લેવામાં આવે તો દર્શકો તેને સ્વીકારશે કે નહીં, એ સૌથી મોટો પ્રશ્ન છે.
અંગત જીવનમાં વ્યસ્ત છે દિશા વાકાણી
શરદ સંકલાના જણાવ્યા અનુસાર, દિશા વાકાણી હાલમાં પોતાના અંગત જીવનમાં વ્યસ્ત છે. “દરેક વ્યક્તિની પોતાની પર્સનલ જર્ની હોય છે. દિશા શું નિર્ણય લેશે, તે માત્ર તેઓ જ જાણે છે. તેમના પરિવાર અને બાળકોની જવાબદારીઓ પણ મહત્વની છે.”
ચાહકોને હજુ પણ છે રાહ
દયાબેનના કિરદાર વિના શૉ આગળ વધી રહ્યો છે, પરંતુ ચાહકો આજે પણ ‘હે મા… માતાજી!’ના સંવાદ અને ગોકુલધામમાં દયાબેનની હાજરીને મિસ કરે છે. હવે જોવું રહ્યું કે દિશા વાકાણી ફરી એકવાર નાના પડદા પર દયાબેન બનીને ચાહકોને ખુશ કરશે કે પછી શૉ નવા ચહેરા સાથે આગળ વધશે.


Leave a Comment