પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના કાબુલમાં 2,000 બેડવાળા રિહેબિલિટેશન સેન્ટર પર ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં લગભગ 400 લોકોનાં મોત થયા અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલનો મોટો ભાગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. આ દુખદ ઘટનાને લઈને અફઘાન ક્રિકેટર અલ્લાહ ગજનફરે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગરીબ લોકોની સારવાર માટેની જગ્યાને નિશાન બનાવવું અફઘાનિસ્તાનને સ્વીકાર્ય નથી. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય, ખાસ કરીને ભારતને હસ્તક્ષેપ કરવા માટે અપીલ કરી છે.
ગજનફરે અફઘાનિસ્તાનના ઇતિહાસનો ઉલ્લેખ કરતા પાકિસ્તાનને ચેતવણી આપી કે જો ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે, તો તે તેમના માટે ખૂબ જ ખરાબ સાબિત થશે. તેમણે ભારતને અફઘાનિસ્તાનનો ‘સૌથી નજીકનો મિત્ર’ ગણાવ્યું અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ સંકટ સમયે એક થવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા અપીલ કરી.
પાકિસ્તાને આ હવાઈ હુમલાના આરોપોને નકારી કાઢ્યા છે. આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સની જર્સી પહેરવા જઈ રહેલા ગજનફરે એક ઇન્ટરવ્યૂમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, “ત્યાંના લોકો પાસે સારવાર માટે પૈસા નથી અને હવે તેમણે તે જગ્યાને પણ નિશાન બનાવી છે. આ અફઘાનિસ્તાનના લોકો માટે બિલકુલ સ્વીકાર્ય નથી.”
ગજનફરે સૈન્ય હુમલાઓ પાછળના હેતુ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને કોઈ શું સાબિત કરવા માંગે છે? તેમણે ચેતવણીભર્યા સ્વરે કહ્યું, “સંપૂર્ણ દુનિયા અફઘાનિસ્તાનનો ઇતિહાસ જાણે છે. જો ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે, તો તે પાકિસ્તાન માટે ખૂબ જ ખરાબ સાબિત થશે.”


Leave a Comment