ગાંધીનગર ખાતે યોજાયેલી બ્રહ્મસમાજની મહત્વપૂર્ણ બેઠકમાં સામાજિક કુરીવાજો અને ખર્ચાળ પરંપરાઓ સામે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. સમાજ હવે પોતાનું ‘સામાજિક બંધારણ’ તૈયાર કરીને મધ્યમવર્ગીય પરિવારોને રિવાજોના નામે થતી આર્થિક પાયમાલીમાંથી બચાવવાનો પ્રયત્ન કરશે. દેખાદેખી છોડીને બચત અને વ્યવહારુ દિશામાં આગળ વધવાની સ્પષ્ટ ઘોષણા કરવામાં આવી છે.
સમાજ અગ્રણી યજ્ઞેશ દવેએ લગ્ન પ્રસંગોમાં થતા આંધળા ખર્ચ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ખોટી પ્રતિષ્ઠા માટે કરાતા ખર્ચથી અનેક પરિવારો દેવાના બોજ નીચે દબાઈ રહ્યા છે. તેથી લગ્ન ખર્ચને મર્યાદિત રાખવા અને ‘રીયલ સેવિંગ્સ’ પર ભાર મુકતા નવા નિયમો ઘડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ નવું માળખું થોડા આગેવાનો પૂરતું નહીં રહે, પરંતુ આખા ગુજરાતના બ્રાહ્મણોના મંતવ્યો લઈ લોકશાહી રીતે તૈયાર કરવામાં આવશે. ગામડાથી શહેર સુધીના લોકોના સૂચનો, યુવાનોના નવા વિચારો અને વડીલોના અનુભવનો સમન્વય કરીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, જેથી અમલ સરળ બને.
બેઠકમાં સમાજના હક-અધિકાર મુદ્દે પણ કડક વલણ દેખાયું. પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ UGCના વિવાદાસ્પદ નિયમો સામે વાંધો ઉઠાવી જરૂરી પડશે તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી. સાથે જ સમાજની છબી ખરડાવતી પ્રવૃત્તિઓ અને વિવાદાસ્પદ ફિલ્મોના નામ સામે પણ વિરોધ નોંધાયો.
આગામી સમયમાં બ્રહ્મસમાજ સંગઠનને તાલુકા સ્તર સુધી વિસ્તૃત કરીને યુવાનોને રોજગારી અને આર્થિક રીતે સશક્ત બનાવવા માર્ગદર્શન કેન્દ્રો શરૂ કરવાનો માસ્ટર પ્લાન બનાવાઈ રહ્યો છે. આ ‘સામાજિક બંધારણ’ સમાજ માટે રક્ષણકવચ બની એકતા મજબૂત કરશે અને આર્થિક રીતે પછાત પરિવારોને સહારો આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


Leave a Comment