રાજસ્થાનના જેસલમેરનો રહેવાસી અને રાજકોટ AIIMSમાં MBBSનો અભ્યાસ કરતો રતનકુમાર મેઘવાલ આજે વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાંથી નીકળ્યો હતો. ત્યારબાદ સવારે 4:45 વાગ્યાના અરસામાં તેણે પરાપીપળીયા રેલવે ટ્રેક પર આવીને ટ્રેન નીચે ઝંપલાવી દીધું હતું. આ બનાવની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસને તપાસ દરમિયાન એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં રતનકુમારે પોતાના માનસિક સ્વાસ્થ્યને લઈને સંઘર્ષ કરી રહ્યો હોવાની કબૂલાત કરી છે.
અગાઉ પણ કર્યો હતો આપઘાતનો પ્રયાસ
ચોંકાવનારી વાત એ છે કે, રતનકુમાર માટે આ પ્રથમ પ્રયાસ નહોતો. અગાઉ 28 જાન્યુઆરીએ પણ તેણે આ જ સ્થળે એટલે કે પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે જ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સદનસીબે પરાપીપળીયા ગામના જાગૃત ગ્રામજનોએ સમયસર જોઈ લેતા તેને બચાવી લીધો હતો. ત્યારબાદ AIIMS તંત્ર દ્વારા તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને તેને થોડા સમય માટે તેના માતા-પિતા પાસે રાજસ્થાન પણ મોકલી દેવામાં આવ્યો હતો. જોકે, માનસિક તણાવમાંથી તે સંપૂર્ણપણે બહાર આવી શક્યો ન હતો અને આખરે આજે તેણે તે જ જગ્યાએ ફરી પ્રયાસ કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે.
તંત્રની કાર્યવાહી અને પરિવારની સ્થિતિ
રતનકુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં રહેતા તેના માતા-પિતાને ઘટનાની જાણ કરવામાં આવતા જ તેઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે. હાલમાં માતા-પિતા રાજકોટ આવવા માટે રવાના થઈ ગયા છે, તેમના આગમન બાદ જ મૃતદેહનો કબજો તેમને સોંપવામાં આવશે.


Leave a Comment