અમરેલી–લીલીયા રોડ પર ગોકળગાયની ગતિએ ચાલતા બ્રિજ અને અંડરબ્રિજના કામો હવે નિર્દોષ વાહનચાલકો માટે ‘ડેથ ટ્રેપ’ સાબિત થઈ રહ્યા છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે છેલ્લા 24 કલાકમાં બે હૃદયદ્રાવક અકસ્માતો સર્જાયા છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
🚨 સલડી પાસે ભયાનક અકસ્માત, માથામાં સળિયો આરપાર
લીલીયાના સલડી ગામ પાસે રામકૃષ્ણ જીનિંગ નજીક નિર્માણાધીન બ્રિજ પાસે કોઈ પણ પ્રકારના બેરીકેડ્સ, ચેતવણી બોર્ડ કે લાઈટિંગ ન હોવાને કારણે મોટો અકસ્માત થયો. બાઈક પર જઈ રહેલા નીતિનભાઈ પરમાર નિર્માણાધીન માળખામાં ખાબક્યા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે બ્રિજનો લોખંડનો સળિયો તેમના માથામાં એક તરફથી ઘૂસીને બીજી તરફ નીકળી ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ગ્રાઇન્ડર મશીન મંગાવી સળિયો કાપ્યો અને લોહીલુહાણ હાલતમાં તેમને સળિયા સાથે જ અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
🕯️ પાણી ભરેલા ખાડામાં બાઈક ખાબકતા યુવાનનું મોત
આ જ રોડ પર 9 જાન્યુઆરીની વહેલી સવારે વધુ એક કરુણ ઘટના બની. 40 વર્ષીય આશીફ સેલોત એક મહિલા અને બાળકી સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. અંધારામાં અંડરબ્રિજ માટે ખોદવામાં આવેલા પાણી ભરેલા ઊંડા ખાડા પર કોઈ સૂચન ન હોવાથી બાઈક સીધું તેમાં ખાબક્યું.
આ દુર્ઘટનામાં આશીફભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે તેમની સાથે રહેલી મહિલા અને બાળકીને ગંભીર ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
📢 યુવા ભાજપ કાર્યકરે સાંસદને લખ્યો પત્ર
આ બંને ગંભીર ઘટનાઓ બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સલડી ગામના યુવા ભાજપ કાર્યકરે સાંસદને પત્ર લખીને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આરોપ છે કે કામના સ્થળે સુરક્ષા નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
❓ જનતાના ટેક્સના પૈસે મોતના ખાડા?
સ્થાનિકોનો આરોપ છે કે અમરેલી–લીલીયા રોડ પર અંડરબ્રિજ અને બ્રિજના કામો લાંબા સમયથી અધૂરા છે. ડાયવર્ઝન બોર્ડ, લાઈટિંગ અને બેરીકેડિંગના અભાવે વહેલી સવારે કે મોડી રાત્રે આ રોડ પરથી પસાર થવું જીવના જોખમે છે. વારંવાર રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
⚖️ જવાબદાર કોણ? ક્યારે થશે કાર્યવાહી?
એક વ્યક્તિના મોત અને એક આધેડના માથામાં સળિયો ઘૂસી જવાની ઘટના બાદ હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ક્યારે પગલાં લેવામાં આવશે? લોકો પોલીસ અને કલેક્ટર પ્રશાસન પાસેથી કોન્ટ્રાક્ટરનો પરવાનો રદ કરી મનુષ્ય વધનો ગુનો નોંધવાની માંગ કરી રહ્યા છે.


Leave a Comment