મળતી માહિતી મુજબ, બુધવારે મોડી રાત્રે કોસંબા પોલીસ સ્ટેશનને ગામ વિસ્તારમાં ગૌહત્યા થતી હોવાની માહિતી મળી હતી. આ સૂચનાના આધારે પોલીસ સ્ટાફ સાથે ગૌરક્ષકોની ટીમ તપાસ માટે સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન સ્થિતિ સામાન્ય જણાતી હતી,
પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ અચાનક બગડી ગઈ હતી. જણાવવામાં આવે છે કે, 6 જેટલા યુવાનો બાઈક પર આવી પહોંચ્યા અને પોલીસ સાથે બોલાચાલી શરૂ કરી. બાદમાં આ લોકોએ ફોન દ્વારા અન્ય લોકોને બોલાવ્યા, જેથી લગભગ 50 જેટલા લોકોનું ટોળું એકત્ર થયું.
આ ટોળાએ પોલીસ અને ગૌરક્ષકો પર તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. હુમલામાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ઉપરાંત, બે પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકનો હાથ ફ્રેક્ચર થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ પોલીસકર્મીઓ હાલ કીમ-કોસંબા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
ગામમાં કડક બંદોબસ્ત
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ ગામમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે
જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. વધુમાં, DySP બી.કે. વનારની આગેવાનીમાં કુલ 15 પોલીસ ટીમો દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે. તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. FSLની મદદથી પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે.


Leave a Comment