Cyclone Ditwah Update – Tamil Nadu: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાત દિતવાના કારણે તામિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. ચેતવણી બાદ જિલ્લાનું વહીવટીતંત્ર હાઇ એલર્ટ પર મૂકાયું છે. કુડ્ડલોરના કલેક્ટર સિબી અધિત્ય સેન્થિલ કુમારે જણાવ્યું કે જિલ્લામાં 22 સંવેદનશીલ અને 39 અત્યંત સંવેદનશીલ વિસ્તારો ઓળખાયા છે, જ્યાં પાણી ભરાવાનો ખતરો સૌથી વધુ છે.
આ વિસ્તારોમાં મોટર પંપ, સ્ટાફ અને જરૂરી સાધનો પહેલેથી જ મુકાયા છે જેથી પાણી ભરાવાની સ્થિતિ બનતાં જ તરત કાર્યવાહી કરી શકાય. સાથે જ 233 રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવ્યા છે, જે કુલ 1.5 લાખ લોકોને આશ્રય આપી શકે છે. હાલ વરસાદ શરૂ ન થતાં કોઈ સ્થળાંતર કરવામાં આવ્યું નથી, પરંતુ તમામ શિબિરો સંપૂર્ણ રીતે સજ્જ છે.
જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં બેકઅપ પાવર, દવાઓ અને 24×7 તબીબી સ્ટાફ તૈનાત છે. આગામી બે અઠવાડિયામાં પ્રસૂતિ થનારી મહિલાઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જિલ્લા કચેરીમાં 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત છે અને 1077 હેલ્પલાઇન નંબર જાહેર થયો છે.
આ દરમ્યાન, ચક્રવાત દિતવાએ શ્રીલંકામાં ભારે તબાહી મચાવી છે, જ્યાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધી 80 થી વધુ લોકોના મોત થયા છે અને ભારે નુકસાન થયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતમાં ‘ઓપરેશન સાગર બંધુ’ શરૂ કરી INS વિકરાંત અને INS ઉદયગિરી દ્વારા પ્રથમ રાહત સામાન મોકલાયો છે.


Leave a Comment