Delhi Tragedy | નવી દિલ્હી: દિલ્હીના કાલકાજી વિસ્તારમાં શુક્રવારે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની માહિતી મળી છે. 52 વર્ષીય અનુરાધા કપૂર અને તેમના બે પુત્રો આશિષ કપૂર (32) તથા ચૈતન્ય કપૂર (27) તેમના ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે કોર્ટના આદેશ અનુસાર ઘરનો કબજો લેવા માટે અધિકૃત ટીમ સ્થળ પર પહોંચી હતી. વારંવાર દરવાજો ખખડાવ્યા છતાં કોઈ પ્રતિસાદ ન મળતાં ડુપ્લિકેટ ચાવી વડે દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદર પ્રવેશતા જ ત્રણેયના મૃતદેહ અલગ-અલગ જગ્યાએ લટકતા જોવા મળ્યા, જેને પગલે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી.
પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ કબજે કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, નોટમાં પરિવાર લાંબા સમયથી માનસિક તણાવ અને ડિપ્રેશનથી પીડિત હોવાનું લખાયું છે. તપાસમાં ખુલ્યું છે કે પરિવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો તેમજ તેઓ રહેતા હતા તે ઘર અંગે કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, પરિવાર મોટાભાગે એકાંતમાં રહેતો હતો અને પડોશીઓ સાથે ઓછો સંપર્ક રાખતો હતો. પાડોશીઓએ એ પણ જણાવ્યું કે થોડા સમય પહેલા પરિવારના સભ્યોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર સારવાર મળતાં તેઓ બચી ગયા હતા.
હાલ પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને સુસાઇડ નોટ સહિત તમામ પાસાઓ પરથી કેસની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે.


Leave a Comment