Dhurandhar 2 : ધુરંધર: ધ રીવેન્જ એક જાસૂસી થ્રિલર ડ્રામા છે જેની વાર્તા પહેલા ભાગથી જ આગળ ચાલુ રહે છે. રહમાન ડકૈત (અક્ષય ખન્ના)ના મોત બાદ લિયારીનો કિંગ હમઝા (રણવીર સિંહ) બની જાય છે. ફિલ્મની વાર્તા ફ્લેશબેકમાં જાય છે જ્યાં હમઝા ઉર્ફે જસ્કીરત સિંહ રાંગીની દુઃખદ કહાની જાણવા મળે છે. તે કેવી રીતે જસ્કીરતમાંથી હમઝા બન્યો… એ સફર પણ દર્શાવવામાં આવી છે.
પછી ફિલ્મમાં બલૂચ નેતાઓની ભાગીદારી, ઈશનિંદા, નકલી નોટોનો ધંધો, ભારતમાં નોટબંધી, ભારતને બરબાદ કરવાના ષડયંત્રો, પાકિસ્તાનીનો સાથ આપતા સ્થાનિક રાજકારણીઓ, ઉરી હુમલો, બાબરી મસ્જિદ ધ્વંસ જેવા મુદ્દાઓને રજૂ કરવામાં આવ્યા છે. એક્શન સીન પહેલા કરતા પણ વધુ ખતરનાક દેખાડવામાં આવ્યા છે.
3 કલાક 55 મિનિટની ફિલ્મમાં રણવીર સિંહનું જબરદસ્ત એક્શન અને લિયારીમાં તેની હુકૂમત બતાવવામાં આવી છે, પરંતુ આદિત્ય ધરની ફિલ્મમાં કેટલીક ચૂક થઈ છે જે તમને પણ ખટકી શકે છે. તેમાં કોઈ શંકા નથી કે આદિત્ય ધરની ફિલ્મની વાર્તા, પાત્રો અને એક્શન વખાણવા લાયક છે, પરંતુ ક્યારેક કંઈક ચૂક થઈ જ જાય છે. કદાચ ધુરંધરમાં પણ એવું જ થયું છે.
હકીકતમાં, ધુરંધર 2માં સૌથી મોટી ભૂલ તેની ટાઈમલાઈન છે, જે થોડી ખટકે છે. ફિલ્મમાં ઘણા મુદ્દાઓ બતાવવામાં આવ્યા છે જેમાં બલૂચ નેતાઓની ભાગીદારીથી લઈને 2016ની નોટબંધી પણ સામેલ છે, પરંતુ ટાઈમલાઈન ખૂબ જ ઝડપથી આગળ વધે છે. લગભગ 4 કલાકની ફિલ્મમાં એટલા બધા મુદ્દાઓ છે કે તેને રજૂ કરવા જતા ઘટનાઓ ઝડપથી આગળ ધપાવવામાં આવી છે, જેના કારણે તેનો અસરકારક પ્રભાવ પૂરતો દેખાતો નથી.


Leave a Comment