દક્ષિણ એશિયામાં દિતવા વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. શ્રીલંકામાં છેલ્લા બે દિવસથી પડતા અવિરત વરસાદ, જોરદાર પવન અને અચાનક આવેલા પૂરે દેશનો મોટો ભાગ પ્રભાવિત થયો છે. અત્યાર સુધી 90 લોકોનાં મોત ની પુષ્ટિ થઈ છે, જ્યારે 100થી વધુ લોકો ગુમ હોવાની માહિતી સામે આવી છે. નદી ઓવરફ્લો થતા ઘણા ગામો અને શહેરોના વિસ્તારો પાણીમાં ગરકાવ છે, જ્યારે અનેક ઘરો ધરાશાયી થયા છે.
પરિસ્થિતિ એટલી વિકટ છે કે આવશ્યક સેવાઓ સિવાયની તમામ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, અને લોકોને ઘરનાં છત અથવા ઊંચા સ્થળે આશ્રય લેવા મજબૂર થવું પડ્યું છે. રાષ્ટ્રીય તંત્રએ સૈન્ય અને હેલિકોપ્ટર દ્વારા સતત બચાવ કામગીરી શરૂ કરી છે.
આ મુશ્કેલ સમયમાં ભારતે પડોશી દેશ પ્રત્યે એકતાની ભાવના દર્શાવતા ‘ઓપરેશન સાગરબંધુ’ હેઠળ તાત્કાલિક રાહત સામગ્રી મોકલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયે શ્રીલંકા સાથે મજબૂતીથી ઉભું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે માહિતી આપી છે કે INS વિક્રાંત અને INS ઉદયગીરી દ્વારા કોલંબોમાં જરૂરી સહાય પહોંચાડાઈ રહી છે અને જરૂર પડે તો વધુ મદદ મોકલવામાં આવશે.
હવે દિતવા વાવાઝોડું દક્ષિણ ભારતની દિશામાં વધી રહ્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે અને માછીમારોને સમુદ્રથી દુર રહેવા સૂચના આપવામાં આવી છે.
શ્રીલંકામાં થયેલા વિનાશ અને ભારત તરફ વધતા જોખમ વચ્ચે બંને દેશોમાં તંત્ર ચુસ્ત દેખરેખ સાથે સતત રાહત અને સુરક્ષા કામગીરી આગળ ધપાવી રહ્યા છે.


Leave a Comment