મુંબઈ: ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડોન 3’ને લઈને ફરી એકવાર ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. પહેલા શાહરૂખ ખાનની જગ્યાએ રણવીર સિંહને ડોન બનાવવાની યોજના હતી, પરંતુ હવે રિપોર્ટ્સ મુજબ રણવીર સિંહ ફિલ્મમાંથી બહાર થઈ ગયા છે. તેમના એક્ઝિટ બાદ મેકર્સની નજર ફરી એકવાર અસલી ડોન એટલે કે શાહરૂખ ખાન પર આવીને અટકી છે.
ડોન 3 હજુ સુધી ફ્લોર પર જઈ શકી નથી, જેના કારણે દર્શકોમાં ઉત્સુકતા વધુ વધી રહી છે. રણવીર સિંહના બહાર થવા પાછળનું કારણ તેમની ફિલ્મ ‘ધુરંધર’ના રિલીઝ બાદ શેડ્યૂલ અને ક્રિએટિવ ફેરફાર હોવાનું કહેવાય છે. ત્યારબાદ મેકર્સે અન્ય કેટલાક સ્ટાર્સને પણ એપ્રોચ કર્યા હતા, પરંતુ વાત બની શકી નહોતી.
હાલ સામે આવી રહેલા રિપોર્ટ મુજબ, શાહરૂખ ખાન પોતાના આઇકોનિક ડોનના રોલમાં વાપસી કરવા તૈયાર છે, પરંતુ તેમણે ફરહાન અખ્તર સામે એક શરત મૂકી છે. કહેવાય છે કે, શાહરૂખ ડોન 3 ત્યારે જ કરશે, જ્યારે ફિલ્મ સાથે ‘જવાન’ના ડિરેક્ટર એટલી જોડાશે.
રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ માને છે કે એટલીના જોડાણથી ફિલ્મનો સ્કેલ, પ્રેઝન્ટેશન અને માસ ઓડિયન્સ સુધી પહોંચ વધુ મજબૂત થશે. જોકે, આ મામલે હજી સુધી મેકર્સ કે કોઈ સ્ટાર તરફથી અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે,‘ડોન’ અને ‘ડોન 2’ માં શાહરૂખ ખાને પોતાના સ્ટાઇલિશ ગેંગસ્ટર અવતારથી દર્શકોને દીવાના બનાવી દીધા હતા. ત્રીજા ભાગમાં રણવીર સિંહને લાવવાની યોજના હતી, તો એક સમયે હૃતિક રોશનનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. હવે ફરી એકવાર શાહરૂખ ખાનની વાપસીની ચર્ચાએ ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચાડી દીધો છે.


Leave a Comment