કચ્છની ધરતી શુક્રવારની વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. સવારે 4:30 વાગ્યે રાપર તાલુકા નજીક રિક્ટર સ્કેલ પર 4.6 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેના કારણે લોકો ભયમાં ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR), ગાંધીનગર મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 22 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ ગેડી ગામ નજીક નોંધાયું હતું. મહત્વની બાબત એ છે કે ભૂકંપ માત્ર 9 કિલોમીટરની ઊંડાઈએ આવતા તેની અસર વિશાળ વિસ્તારમાં અનુભવાઈ હતી.
ભૂકંપની અસર રાપર ઉપરાંત ભચાઉ, અંજાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્પષ્ટ અનુભવાઈ હતી. વહેલી સવારના સમયે અચાનક આવેલા આંચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘણા પરિવારો લાંબા સમય સુધી ઘરની બહાર ખુલ્લામાં જ રહ્યા હતા.
ISRના જણાવ્યા અનુસાર, મુખ્ય ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 8થી વધુ નાના-મોટા આફ્ટરશોક નોંધાયા છે, જેના કારણે લોકોમાં ભય અને અનિશ્ચિતતા વધુ વધી છે.
કચ્છ જિલ્લો સિસ્મિક ઝોન-5માં આવતો હોવાથી અહીં ભૂકંપની સંભાવના હંમેશા રહે છે. આ ભૂકંપે સ્થાનિક લોકોને 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપની યાદો ફરી તાજી કરી દીધી હતી.
સદનસીબે, હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા તથા સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી છે.


Leave a Comment