Delhi : વહેલી સવારે અંદાજે 7:00 વાગ્યાના સુમારે સાધ નગરની લેન નંબર 2 માં આવેલી ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત એક કોસ્મેટિક્સની દુકાનમાં આગ લાગી હતી. જે સમયે આગ લાગી ત્યારે ઇમારતના ઉપરના માળે આવેલા રહેણાંક ફ્લેટમાં લોકો ગાઢ નિદ્રામાં હતા. દુકાનમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી.
લોકોએ ત્રીજા અને ચોથા માળેથી નીચે કૂદકો માર્યો
ઇમારતનો આંતરિક ભાગ ગાઢ કાળા ધુમાડામાં લપેટાઈ જતાં અંદર ફસાયેલા લોકો ગુંગળામણ અનુભવવા લાગ્યા હતા. જીવ બચાવવા માટે લોકો મદદની બૂમો પાડતા બાલ્કનીમાં દોડી આવ્યા હતા, જ્યારે કેટલાક લોકોએ ગભરાટમાં આવીને ત્રીજા અને ચોથા માળેથી નીચે કૂદકો પણ માર્યો હતો.
ફાયર વિભાગની 30 ગાડીઓની મદદથી બચાવ કામગીરી
ઘટનાની જાણ થતા જ દિલ્હી ફાયર સર્વિસના 30 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર ફાઇટરોએ જીવના જોખમે ઇમારતમાં પ્રવેશીને ત્રણ બાળકો સહિત સાત ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા સુધીમાં આ તમામ સાત લોકોના મોત નિપજ્યા હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. અન્ય બે વ્યક્તિઓ જેઓ ઇમારત પરથી કૂદી પડ્યા હતા, તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રબળ શક્યતા છે.
મુખ્યમંત્રીએ તાત્કાલિક મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરતા જણાવ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે, જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ અને સુરક્ષામાં થયેલી ક્ષતિઓ બહાર આવી શકે.
લેફ્ટનન્ટ ગવર્નરે વ્યક્ત કર્યો શોક
બીજી તરફ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરનજીત સિંહ સંધુએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, “પાલમ મેટ્રો સ્ટેશન નજીક લાગેલી આગની ઘટનાથી હું અત્યંત દુઃખી છું. અસરગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને રાહત કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે.”


Leave a Comment