ગાંધીનગર જિલ્લાના દહેગામમાં લગ્નની આશામાં રહેલા એક નિર્દોષ યુવકને ‘લૂંટેરી દુલ્હન’ની સુયોજિત ગેંગે પોતાનો શિકાર બનાવ્યો હોવાનો ચકચારજનક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ નવવધૂ રોકડ રકમ અને કિંમતી સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.
આ છેતરપિંડીની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે યુવકે લગ્ન માટે પોતાનો બાયોડેટા એક ઓનલાઇન પ્લેટફોર્મ પર મૂક્યો હતો. આ તકનો લાભ ઉઠાવી જ્યોતિ ઉર્ફે જાગૃતિ અને રાજેશ તન્ના નામના મધ્યસ્થીઓએ યુવકનો સંપર્ક કર્યો અને ચાંદની નામની યુવતીને ‘સંસ્કારી કન્યા’ તરીકે ઓળખાવી હતી. આયોજનબદ્ધ રીતે લગ્ન માટે રૂ. 3 લાખની માંગણી કરવામાં આવી હતી, જે યુવકના પરિવારે સ્વીકારી લીધી હતી.
ગત 3 ઓક્ટોબરે નવા વાડજ વિસ્તારમાં લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન સમયે વરરાજાના પિતાએ મધ્યસ્થીઓની હાજરીમાં રૂ. 3 લાખ રોકડા ચૂકવ્યા હતા. લગ્ન બાદ ચાંદની સાસરીમાં આવી અને સાત દિવસ સુધી સામાન્ય વર્તન કરીને પરિવારનો વિશ્વાસ જીત્યો હતો.
લગ્નના સાતમા દિવસે ચાંદનીએ પિતાની બીમારીનું નાટક રચી પિયર જવાની માગણી કરી હતી. આ દરમિયાન તેણે સારવારના બહાને યુવક પાસેથી વધુ રૂ. 1.35 લાખ પડાવ્યા હતા. 10 ઓક્ટોબરે પિયર જતી વખતે તેણે લગ્નમાં મળેલા 4 તોલા સોનાના દાગીના પણ સાથે લઈ લીધા હતા.
બે દિવસ બાદ ફોન સ્વીચ ઓફ આવતાં યુવકને શંકા ગઈ હતી. આ દરમિયાન ટીવી પર બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલી ‘લૂંટેરી દુલ્હન’નો અહેવાલ જોઈ યુવકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે સ્ક્રીન પર દેખાતી યુવતી એ જ ચાંદની હતી.
આ સમગ્ર છેતરપિંડીથી તૂટેલા યુવકે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટેરી દુલ્હન ચાંદની, મધ્યસ્થી જ્યોતિ ઉર્ફે જાગૃતિ અને રાજેશ તન્ના સહિતની ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ લગ્ન ઈચ્છુક યુવાઓ અને પરિવારો માટે ચેતવણી સમાન કિસ્સો રજૂ કર્યો છે.


Leave a Comment