Gandhinagar Crime News: રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી માનવતા હચમચાવી દે તેવી એક જઘન્ય ઘટના સામે આવી છે. સેક્ટર-24ના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની આશરે પાંચ વર્ષની માસૂમ બાળકી પર રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે પરિવારના સભ્યો છાપરામાં સૂઈ ગયા હતા. આ દરમિયાન બાળકી શૌચક્રિયા માટે ઉઠી હતી. આ તકનો લાભ લઈને નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાથી ભયભીત બનેલી બાળકી પાછી આવીને દાદી પાસે સૂઈ ગઈ હતી, પરંતુ ઊંઘમાં તે સતત “ભૂત આવ્યું, ભૂત આવ્યું” કહીને રડવા લાગી હતી.
બાળકીના અસામાન્ય રુદનથી દાદી જાગી ગયા હતા. તપાસ કરતા બાળકીના કપડાં લોહીથી ખરડાયેલા હોવાનું સામે આવ્યું, જેના કારણે ગંભીર શંકા ઊભી થઈ હતી. તાત્કાલિક બાળકીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસ દરમિયાન દુષ્કર્મ થયાની પુષ્ટિ કરવામાં આવી હતી.
હોસ્પિટલ દ્વારા જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિત બાળકી તેના માતા સાથે પિયરમાં રહે છે. પોલીસે બાળકીના મામા સહિત કુલ ચાર શખ્સોને શંકાના આધારે અટકાયતમાં લઈ સઘન પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે POCSO એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવા FSL ટીમને પણ બોલાવવામાં આવી છે. પોલીસ આરોપીને ઝડપથી પકડી કડકમાં કડક સજા અપાવવાની દિશામાં કાર્યવાહી કરી રહી છે.


Leave a Comment