ગુજરાતના લોકપ્રિય લોકોત્સવ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને પતંગ રસિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતભરી આગાહી સામે આવી છે. રાજ્યમાં 14 અને 15 જાન્યુઆરી દરમિયાન પવનની ગતિ પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણ દરમિયાન પવનની ઝડપ સરેરાશ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે. 14 જાન્યુઆરીએ પવન ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે, જ્યારે 15 જાન્યુઆરીએ પણ સમાન દિશા જળવાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન રહેવાની આગાહી કરવામાં આવી છે, જે પતંગબાજો માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે.
આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે અને વરસાદની કોઈ આગાહી નથી, જેના કારણે ઉત્તરાયણના કાર્યક્રમોમાં કોઈ અવરોધ નહીં આવે. જોકે, તાપમાન બાબતે થોડી ચિંતા રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે, પરંતુ ત્યારબાદના ચાર દિવસમાં પારો ફરીથી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે.
હાલમાં કચ્છના નલિયામાં 6 ડિગ્રી અને અમરેલીમાં 9 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રી છે, જે આગામી 24 કલાકમાં 15 ડિગ્રી સુધી ઘટી શકે છે.
આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો છવાશે, તો બીજી તરફ વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાશે. તેથી પતંગબાજોને ધાબા પર ઉત્સવ માણતાં સમયે ગરમ કપડાં સાથે તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે.


Leave a Comment