Gandhinagar: ગુજરાત સરકારે રાજ્યના હજારો હોમગાર્ડ જવાનોને મોટો લાભ આપતા તેમની નિવૃત્તિની વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા આ નિર્ણયથી હવે જવાનોએ વધારાના ત્રણ વર્ષ સુધી રાષ્ટ્રસેવામાં યોગદાન આપી શકશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ-9માં જરૂરી સુધારો કરવા નિર્ણય કર્યો છે. નવા નિયમ અનુસાર હવે રાજ્યની હોમગાર્ડ ફોર્સ માટે નિવૃત્તિ વય 58 વર્ષ ગણાશે.
હર્ષ સંઘવીએ દળની પ્રશંસા કરતાં કહ્યું કે હોમગાર્ડઝ પોલીસના પૂરક બળ તરીકે ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ, રાત્રી પેટ્રોલિંગ, ધાર્મિક મેળા અને VIP સુરક્ષા સહિતની મહત્વપૂર્ણ ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવે છે. નિવૃત્તિ વય વધવાથી જવાનોમાં દેશસેવાનો જુસ્સો વધુ મજબૂત થશે.
આ પહેલાં વર્ષ 2022માં રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોના માનદ વેતનમાં પણ વધારો કર્યો હતો. પ્રતિદિન ₹300 મળતું વેતન વધારી ₹450 પ્રતિદિન કરવામાં આવ્યું હતું, જે જવાનોની સેવા પ્રત્યેની કદર દર્શાવે છે.
બૃહદ મુંબઇ રાજ્યના સમયમાં 6 ડિસેમ્બર 1947માં રચાયેલા હોમગાર્ડ દળે છેલ્લા 78 વર્ષથી કાયદો અને વ્યવસ્થા તથા આપત્તિ વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
નિવૃત્તિ વયમાં વધારો થતાં હોમગાર્ડ જવાનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી ચાલતી તેમની માંગને સરકાર દ્વારા સ્વીકારતા હવે તેઓ વધુ ત્રણ વર્ષ સુધી પરિવાર અને સમાજ માટે કાર્ય કરી શકશે.


Leave a Comment