Gujarat industries GPCB: મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર અને ઉદ્યોગો સુધી પહોંચી રહી છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ગુજરાતના ઉદ્યોગો પર પણ જોવા મળી રહ્યો છે.
ગેસના પુરવઠામાં સર્જાયેલી અછતને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉદ્યોગોની કામગીરી અટકી ન જાય તે માટે બોર્ડે હંગામી ધોરણે માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણના ઉપયોગને મંજૂરી આપી છે.
રાજ્યના ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ગેસનો ઉપયોગ કરે
આ અંગે GPCBએ સત્તાવાર પરિપત્ર જાહેર કરીને ઉદ્યોગોને માર્ગદર્શન આપ્યું છે. પરિપત્રમાં જણાવાયું છે કે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ગેસ સપ્લાય ચેઇનમાં વિક્ષેપ સર્જાયો છે. ખાસ કરીને ગેસના આયાતી પુરવઠા પર નિર્ભર ઉદ્યોગોને હવે ગેસ ઉપલબ્ધ થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જેના પરિણામે રાજ્યના અનેક ઉદ્યોગોના ઉત્પાદન પર નકારાત્મક અસર પડવાની શક્યતા ઊભી થઈ છે. GPCBના જણાવ્યા અનુસાર, રાજ્યના ઔદ્યોગિક એકમો મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ગેસનો ઉપયોગ કરે છે. આ ગેસનો ઉપયોગ બોઇલર, ફર્નેસ અને વિવિધ ઉત્પાદન પ્રક્રિયાઓમાં થાય છે.
પરંતુ વૈશ્વિક રાજકીય તણાવ અને સપ્લાયમાં ઘટાડાને કારણે ગેસનો પુરવઠો અસ્થિર બન્યો છે. આવી સ્થિતિમાં જો ઉદ્યોગોને વિકલ્પ આપવામાં નહીં આવે તો ઉત્પાદન પ્રક્રિયા થંભી શકે છે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ પર ગંભીર અસર પડી શકે છે.
હવામાં પ્રદૂષણનું સ્તર નિયંત્રિત રહે
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને GPCBએ હંગામી રાહતરૂપે ઉદ્યોગોને માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ, જેમ કે LSHS, LDO અથવા અન્ય મંજૂર ઈંધણ, વાપરવાની મંજૂરી આપી છે. જોકે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ પરવાનગી સંપૂર્ણપણે હંગામી છે અને તેનો ઉપયોગ પર્યાવરણ સંબંધિત નિયમોનું પાલન કરીને જ કરવો પડશે.
ઉદ્યોગોએ પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી તમામ ઉપાયો અપનાવવાના રહેશે. બોર્ડે વધુમાં જણાવ્યું છે કે ઉદ્યોગોએ પ્રવાહી બળતણનો ઉપયોગ કરતી વખતે હવામાં પ્રદૂષણનું સ્તર નિયંત્રિત રહે તે માટે જરૂરી સાધનો અને તકનીકી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી પડશે.
જો કોઈ ઉદ્યોગ પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકે છે.


Leave a Comment