અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. મણિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કાંકરિયા ગેટ નંબર 7 નજીક 17 વર્ષની ફલકનાઝ પઠાણની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ આ હત્યા યુવતીના પૂર્વ મંગેતર મહમંદ આવેઝ પઠાણે કરી હોવાનું સામે આવ્યું છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, આવેઝ છેલ્લા કેટલાક સમયથી યુવતી પર શંકા રાખતો હતો અને તેને વારંવાર હેરાન કરતો હતો. આ કારણસર બંને પરિવારો વચ્ચે મતભેદ ઊભા થયા હતા અને બે દિવસ પહેલાં જ સગાઈ તોડી દેવામાં આવી હતી. સગાઈ તૂટ્યા બાદ આવેઝે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
11 ફેબ્રુઆરીની રાત્રે આશરે 10:30 વાગ્યે આવેઝે યુવતીને વાતચીતના બહાને કાંકરિયા ગેટ નંબર 7 પાસે બોલાવી હતી. ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ગુસ્સે ભરાયેલા આવેઝે રસ્તા પર પડેલો કોટા સ્ટોનનો પથ્થર ઉઠાવી યુવતીના માથા અને ચહેરા પર વારંવાર પ્રહાર કર્યા હતા. ગંભીર ઇજાઓને કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જ મણિનગર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. વિસ્તાર કોર્ડન કરીને પુરાવા એકત્રિત કરાયા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
હત્યાના બાદ આરોપી આવેઝે યુવતીના પિતાને ફોન કરીને ગુનાની કબૂલાત કરી અને પછી પોતે જ મણિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે તેને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે.
ઝોન-6ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં શંકાના કારણે હત્યા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે શોક અને આક્રોશનો માહોલ છે. પરિવાર દ્વારા આરોપીને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


Leave a Comment