Vadodara ST Bus Accident | Pandya Bridge: વડોદરામાં વહેલી સવારે વધુ એક માર્ગ અકસ્માતે નિર્દોષ યુવકનો જીવ લીધો છે. શહેરના પંડ્યા બ્રિજ નીચે રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી. બસે બાઇક સવાર સહિત ત્રણ લોકોને અડફેટે લેતાં 25 વર્ષીય યુવકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આજે વહેલી સવારે નોકરી-ધંધે જવા નીકળેલા લોકો વચ્ચે એસ.ટી. બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પુરપાટ ઝડપે આવી રહેલી બસ બાઇક સવાર યુવાન અને બે રાહદારીઓને અડફેટે લઈ ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર યુવક હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો અને તેના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સયાજી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, યુવકની હાલત અત્યંત ગંભીર હોવાથી ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.
ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માત બ્રેક ફેલ થવાને કારણે થયો કે ડ્રાઈવરની ગંભીર બેદરકારીને કારણે—તે દિશામાં તપાસ ચાલી રહી છે.
મૃતક યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે બાઇકના નંબરના આધારે RTO ડેટાબેઝ તપાસવાની પ્રક્રિયા શરૂ કરી છે તેમજ પરિવારજનો સુધી પહોંચવા પ્રયાસો ચાલી રહ્યા છે.
પંડ્યા બ્રિજ નીચે વારંવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા સ્પીડ બ્રેકર, સિગ્નલ અને ટ્રાફિક પોલીસની કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં નિર્દોષોના જીવ બચાવી શકાય.


Leave a Comment