મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ માહિતી આપી હતી કે અફવાઓના કારણે LPG સિલિન્ડરના બુકિંગમાં અચાનક મોટો વધારો થયો છે. સામાન્ય રીતે દૈનિક LPG બુકિંગ આશરે 75 લાખ જેટલું હોય છે, પરંતુ તાજેતરમાં તે વધીને 88 લાખ સુધી પહોંચી ગયું છે. તેમણે જણાવ્યું કે લોકો ગભરાઈને વધારાની બુકિંગ કરી રહ્યા છે, જ્યારે દેશમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડર સપ્લાય શરૂ
સરકારે જણાવ્યું છે કે દેશમાં 29 રાજ્યોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ કરી દેવામાં આવી છે. હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વેપારિક ઉપયોગ માટે ગેસ ઉપલબ્ધ કરાવવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કોમર્શિયલ સિલિન્ડરના ગ્રાહકોને પાઇપલાઇન ગેસ એટલે કે PNG કનેક્શન લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે જેથી ગેસના વિતરણ પર દબાણ ઓછું થઈ શકે.
ભારતીય ટેન્કરો સુરક્ષિત
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવાયું કે હાલમાં ઈરાનના અખાત વિસ્તારમાં ભારતીય ધ્વજવાળા લગભગ 22 જેટલા ટેન્કરો હાજર છે. તેમાં એલપીજી, એલએનજી, ક્રૂડ ઓઈલ અને કેમિકલ ભરેલા જહાજો સામેલ છે. આ ટેન્કરો દેશની ઊર્જા જરૂરિયાત, ઉદ્યોગો, વીજ ઉત્પાદન અને રસોઈ ગેસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત સરકાર તેમને સુરક્ષિત રીતે દેશમાં લાવવા માટે નૌકાદળ અને રાજદ્વારી ચેનલો દ્વારા સતત સંકલન કરી રહી છે.
ભારત સતત સંપર્કમાં
પ્રેસ કોન્ફરન્સમાં રણધીર જયશવાલ એ જણાવ્યું કે ભારત મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ પર સતત નજર રાખી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ભારત ઊર્જા સુરક્ષા જાળવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયેલ અને ઇરાન સહિતના દેશો સાથે સતત સંપર્કમાં છે.


Leave a Comment