ગુજરાતના ચારેય મુખ્ય એરપોર્ટ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત પર ઈન્ડિગો એરલાઈન્સની સેવાઓ સતત ચોથા દિવસે ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે. સ્ટાફની અછતને કારણે અનેક મહત્વપૂર્ણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ રદ અથવા લાંબા સમય સુધી મોડી પડતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.
અમદાવાદ એરપોર્ટ પર પરિસ્થિતિ સૌથી વધુ તંગ બની હતી. લાંબા સમયથી રાહ જોઈ રહેલા મુસાફરોને છેલ્લી ક્ષણે ફ્લાઈટ રદ થવાની જાણ થતાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. મુસાફરો અને સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કેટલાક મુસાફરો દ્વારા ‘ઈન્ડિગો ચોર હૈ, મુર્દાબાદ’ના નારા પણ લગાવાયા. મુસાફરોનું કહેવું છે કે ફ્લાઈટ રદ થયા છતાં એરલાઇન દ્વારા કોઈ સમયસર અને વિશ્વસનીય માહિતી આપવામાં આવી નહોતી.
અમદાવાદમાંથી રદ થયેલી મુખ્ય ફ્લાઈટ્સમાં દિલ્હી (5293, 6694, 6189), શ્રીનગર (6265, 6266), ગોવા (281), મુંબઈ (802) અને પુણે (819) જેવા રૂટ્સ સામેલ છે. બીજી તરફ દુબઈ (015), લંડન (160), અબુધાબી (244), મુંબઈ (6477, 5251, 5189) સહિતની અનેક ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી હતી.
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ઈન્ડિગોની 8 ફ્લાઈટ્સ રદ થઈ છે, જેમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર અને ગોવાની ફ્લાઈટ્સ શામેલ છે. સુરત એરપોર્ટ પર હૈદરાબાદની આવતી ફ્લાઈટ રદ થવાથી મુસાફરો પરેશાન થયા હતા, જ્યારે કેટલાક ફ્લાઈટ શેડ્યૂલ બપોર બાદ પણ અનિશ્ચિત રહ્યા હતા.
ચાર દિવસથી ચાલતી આ અવ્યવસ્થાને લઈને ઈન્ડિગો તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, જેના કારણે મુસાફરોમાં અસંતોષ વધુ ઘેરો બની રહ્યો છે. મુસાફરોનો સવાલ છે કે પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે અને એરલાઈન જવાબદારી ક્યારે સ્વીકારશે.


Leave a Comment