IPL 2026ની હરાજીમાં મંગળવારે અબુ ધાબીના એતિહાદ સ્ટેડિયમમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. કરોડો રૂપિયાની બોલીઓ વચ્ચે ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાન માટે હરાજીની શરૂઆત નિરાશાજનક રહી હતી, પરંતુ અંતિમ ક્ષણે નસીબે કરવટ લીધી. ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) સરફરાઝ પર વિશ્વાસ મૂકીને તેને ₹75 લાખની બેઝ પ્રાઈસમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
હરાજીના પ્રથમ રાઉન્ડમાં સરફરાઝ ખાનનું નામ આવતાં કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ બોલી ન લગાવતા તે અનસોલ્ડ રહ્યો હતો. આ ક્ષણ ક્રિકેટ ચાહકો માટે ચોંકાવનારી હતી. જોકે, ‘એક્સિલરેટર રાઉન્ડ’માં CSKએ ઝડપી નિર્ણય લઈને સરફરાઝને ખરીદી લીધો અને હરાજીમાં ભાવનાત્મક વળાંક લાવ્યો.
ચેન્નાઈ સુપર કિંગ્સ હંમેશા લાંબા ગાળાની વ્યૂહરચના સાથે ચાલતી ટીમ તરીકે ઓળખાય છે. સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવો એ મધ્યમ ક્રમની બેટિંગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ માનવામાં આવે છે. હવે સરફરાઝને મહેન્દ્ર સિંહ ધોનીના માર્ગદર્શન હેઠળ પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક મળશે.
સરફરાઝ ખાન માટે આ વાપસી ખાસ છે. તે છેલ્લે 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી IPL રમ્યો હતો. ત્રણ વર્ષના વિરામ બાદ પીળી જર્સીમાં તેની વાપસી એ તેની મહેનત અને ધીરજનું પરિણામ છે.
હરાજીમાં CSKએ રસ દાખવવાનું મુખ્ય કારણ સરફરાઝનું શાનદાર ઘરેલું ફોર્મ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે 7 મેચમાં 329 રન ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તાજેતરમાં રાજસ્થાન સામે માત્ર 22 બોલમાં 73 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને તેણે સાબિત કર્યું હતું કે તે T20 ફોર્મેટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
હવે બધાની નજર ચેપોક સ્ટેડિયમ પર રહેશે, જ્યાં સરફરાઝ ખાન પોતાની તોફાની બેટિંગથી CSK માટે કેટલો અસરકારક સાબિત થાય છે તે જોવાનું રહેશે.


Leave a Comment