અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજાર નજીક સિંધી માર્કેટમાં ભયાનક આગની ઘટના સામે આવી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, માર્કેટની અંદર આવેલી 30થી વધુ દુકાનોમાં આગ ફાટી નીકળતાં ભારે નુકસાન થયું છે. ઘટના બનતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તરત જ 20થી વધુ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આગ ઝડપથી ફેલાતી હોવાને કારણે દુકાનદારો અને સ્થાનિકોમાં ડર ફેલાયો હતો. સિંધી માર્કેટમાં મોટાભાગે કપડાં તથા અન્ય જ્વલનશીલ સામાનની દુકાનો આવેલી હોવાથી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા ચારેય બાજુથી પાણીનો જોરદાર મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. જોકે આગ લાગ્યા બાદ આસપાસના વેપારીઓએ પોતાની દુકાનોમાંથી માલસામાન બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્થળ પર ધુમાડાના ગોટેગોટા ઊઠતા જોવા મળ્યા હતા, જેના કારણે દ્રશ્ય ખૂબ જ ભયજનક બની ગયું હતું.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કર તેમજ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે આગ પર ઝડપથી કાબૂ મેળવવા માટે ટીમને માર્ગદર્શન આપી રહ્યા હતા. તેમના કહેવા મુજબ, અંદાજે 21 ફાયર વાહનો અને 72થી 85 જેટલા ફાયર જવાનો આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા.
ફાયર વિભાગ દ્વારા સતત પ્રયત્નો છતાં આગ કાબૂમાં લેવા માટે ઘણો સમય લાગ્યો હતો, કારણ કે દુકાનોમાં રહેલા કપડાં અને અન્ય સામગ્રી આગને વધુ પ્રસરવા માટે જવાબદાર બન્યા હતા. આગના કારણે ઓછામાં ઓછા 25થી વધુ દુકાનોમાં મોટાપાયે નુકસાન થયાનું અનુમાન છે.


Leave a Comment