કેરળ હાઇકોર્ટે ગુરુવાર, 26 ફેબ્રુઆરીએ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2’ ની રિલીઝ પર રોક લગાવી દીધી. આ નિર્ણય આ અઠવાડિયાની શરૂઆતમાં દાખલ થયેલી એક અરજી પછી આવ્યો છે. અરજીમાં ફિલ્મને મળેલા સેન્સર સર્ટિફિકેટને પડકારવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ બેચુ કુરિયન થોમસે નિર્દેશ આપ્યો કે, ફિલ્મ તેની મૂળ નિર્ધારિત રિલીઝ તારીખ 27 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ શકશે નહીં. કોર્ટે સેન્સર બોર્ડ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેણે ‘નિયમોનું પાલન કર્યું નથી’.
કેરળ સ્ટોરી 2 પર લાગી રોક
આ દરમિયાન મળેલી માહિતી મુજબ ફિલ્મમેકર્સ હવે કેરળ હાઇકોર્ટની મોટી બેન્ચ સામે સિંગલ જજના આદેશ વિરુદ્ધ અપીલ કરશે. અપીલ આજે જ દાખલ થઈ શકે છે અને પ્રોડ્યૂસર્સે વિગતવાર આદેશ ઝડપથી જાહેર કરવાની માંગ કરી છે જેથી તેઓ વિલંબ વિના તેને પડકાર આપી શકે. સૂત્રોના જણાવ્યા મુજબ ટીમ પાસે સમય ખૂબ ઓછો છે, કારણ કે ફિલ્મની રિલીઝ 27 ફેબ્રુઆરી નક્કી છે અને તેઓ થિયેટ્રિકલ પ્લાનમાં વધુ અડચણોથી બચવા માટે તરત રાહત માંગે છે.
ટ્રેલર રિલીઝ થયા પછીથી ફિલ્મનું કન્ટેન્ટ વિવાદોમાં ઘેરાયુ
કામાખ્યા નારાયણ સિંહના દિગ્દર્શનમાં બનેલી અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા પ્રોડ્યૂસ કરાયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2’ માં દાવો કરવામાં આવ્યો છે કે, યુવા હિંદુ મહિલાઓને આંતરધર્મીય લગ્નોમાં ફસાવવામાં આવે છે, ત્યારબાદ તેમની સાથે મારપીટ થાય છે, તેમના અધિકારો છીનવી લેવામાં આવે છે અને તેમને જબરદસ્તી ઇસ્લામ ધર્મમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ટ્રેલર રિલીઝ થયા પછીથી ફિલ્મનું કન્ટેન્ટ વિવાદોમાં ઘેરાયુ હતું.


Leave a Comment