લખનઉમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાર્યક્રમ પૂર્ણ થતાં જ ત્યાં અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સુશોભન ફૂલોના કુંડાઓ લોકો દ્વારા ઉઠાવી લઈ જવાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ગુરુવારે પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સ્મરણમાં બનાવાયેલા રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ખાસ અવસર માટે લખનઉ વિકાસ પ્રાધિકરણ (LDA) અને નગર નિગમ દ્વારા ગ્રીન કોરિડોર, વસંત કુંજ રોડ અને પ્રેરણા સ્થળ માર્ગ પર હરિયાળી અને સૌંદર્ય વધારવા માટે આકર્ષક કુંડાઓ અને હેંગિંગ વોલ લગાવવામાં આવ્યા હતા.
પરંતુ વડાપ્રધાનના રવાના થયા બાદ જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. જાહેર સંપત્તિ તરીકે લગાવવામાં આવેલા આ કુંડાઓને કેટલાક લોકો પોતાના વાહનોમાં ભરીને ઘરે લઈ જતા નજરે પડ્યા. કોઈ હાથમાં કુંડા લઈ ગયો તો કોઈ બાઇક અને કાર પર લાદીને લઈ ગયો.
આ સમગ્ર ઘટનાના વીડિયો ત્યાં હાજર લોકોએ મોબાઇલમાં રેકોર્ડ કરી લીધા હતા, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. નેટિઝન્સ આ હરકતને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે એક તરફ પ્રશાસન શહેરને સુંદર બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, તો બીજી તરફ કેટલાક નાગરિકો આવી સંકુચિત માનસિકતાથી સમગ્ર મહેનત પર પાણી ફેરવી દે છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ જાહેર સંપત્તિની ચોરી મામલે જવાબદાર લોકો સામે કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં? આ ઘટના લખનઉની છબી અને નાગરિક જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે.


Leave a Comment