Election : મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની પરંપરાગત બેઠક ભવાનીપુરથી ચૂંટણી લડશે. બીજી તરફ, ભાજપે પણ આક્રમક વ્યૂહરચના અપનાવીને વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીને ભવાનીપુર અને નંદીગ્રામ એમ બંને બેઠકો પરથી મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પરાજય આપ્યો હતો, જોકે બાદમાં મમતા બેનર્જીએ ભવાનીપુરની પેટાચૂંટણી જીતીને મુખ્યમંત્રી પદ જાળવી રાખ્યું હતું. હવે ભવાનીપુર બેઠક પરનો આ મુકાબલો પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.
ભાજપ પર પ્રહાર
ઉમેદવારોના નામ જાહેર કરવાની સાથે જ મમતા બેનર્જીએ ભાજપ વિરુદ્ધ આકરા તેવર બતાવ્યા હતા. તેમણે પત્રકાર પરિષદમાં “ભાજપનો બહિષ્કાર કરો, ભાજપને મત નહીં આપો” ના સૂત્રો પોકાર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે TMC 226થી વધુ બેઠકો જીતીને ફરી સત્તામાં આવશે, જ્યારે ભાજપ 50 બેઠકોનો આંકડો પણ પાર કરી શકશે નહીં. મમતાએ ભાવુક અપીલ કરતા કહ્યું, “આ બંગાળના અસ્તિત્વ માટેનો સંઘર્ષ છે. મા, માટી અને માનુષની જીત થશે, દિલ્હીના લાડુ અહીં નહીં જીતે.”
ચૂંટણી પંચ અને ‘સુપર ઇમરજન્સી’ ના આક્ષેપો
મમતા બેનર્જીએ ચૂંટણી પંચની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં છેલ્લા ચાર મહિનાથી ‘સુપર ઇમરજન્સી’ જેવી સ્થિતિ છે. ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું બહાર પડે તે પહેલા જ મુખ્ય સચિવથી લઈને પોલીસ કમિશનર સુધીના ઉચ્ચ અધિકારીઓની બદલી કરવા બદલ તેમણે કેન્દ્ર સરકાર અને પંચની ટીકા કરી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે ઈદ પહેલા અધિકારીઓને દૂર કરીને ભાજપ કોઈ અઘટિત ઘટના કે રમખાણોનું આયોજન કરી રહ્યું છે.


Leave a Comment