ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર અમરેલીની સેશન્સ કોર્ટે ગૌવંશની હત્યાના કેસમાં એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાયોનું કતલ કરનારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને કુલ 18 લાખનો જંગી દંડ ફટકાર્યો છે. કોર્ટનો આ કડક નિર્ણય ગૌવંશ કતલ કરનારા તત્ત્વો માટે એક લાલબત્તી સમાન ગણવામાં આવી રહ્યો છે.
- 6 નવેમ્બરે ગૌવંશ કતલની ઘટના બની હતી
આ સમગ્ર ઘટના 6 નવેમ્બર, 2023ના રોજ અમરેલી શહેરમાં બની હતી. અમરેલી પોલીસને બાતમી મળી હતી કે બહારપરા વિસ્તારમાં આવેલા મોટા ખાટકીવાડ, કોળીવાડના નાકે રહેતો અક્રમ સોલંકી તેના રહેણાંક મકાનમાં ગાયોનું કતલ કરે છે. માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા, કાસિમ સોલંકીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી, જ્યારે સત્તાર સોલંકી અને અક્રમ સોલંકી નાસી છૂટ્યા હતા.
- કતલ કરેલા પશુના અવશેષો મળી આવ્યા
પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને નાસી છૂટેલા સત્તાર સોલંકી અને અક્રમ સોલંકીને પણ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આરોપીના મકાનમાંથી પશુના કતલ કરેલા અવશેષો મળી આવ્યા હતા, જેના આધારે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી.
- સેશન્સ કોર્ટના જજ દ્વારા કડક સજા સંભળાવાઈ
અમરેલી સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ ચંદ્રેશ મહેતાએ આ મામલે મજબૂત દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા. સેશન્સ કોર્ટના જજ રીજવાનાબેન બુખારી દ્વારા આ કડક સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીઓ સામે ગંભીર વલણ અપનાવ્યું હતું.
- ‘પશુ સંરક્ષણ અધિનિયમ’ હેઠળ આજીવન કારાવાસ
કોર્ટે પશુ સંરક્ષણ અધિનિયમની કલમ ૫ હેઠળ ત્રણેય આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ ઉપરાંત, આ જ કલમ હેઠળ દરેક આરોપી દીઠ ₹૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો દંડની રકમ ભરપાઈ કરવામાં ન આવે તો, આરોપીઓએ વધુ ૫ માસની સજા ભોગવવી પડશે.
- 18 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
અલગ અલગ કલમો હેઠળ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને કુલ 18 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે ગુજરાતમાં ગૌવંશ કતલના કેસમાં આપવામાં આવેલો પ્રથમ આજીવન કેદનો ચુકાદો છે.



Leave a Comment