અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) કડક નિર્ણય લીધો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તાર તથા તેને જોડતા રસ્તાઓ પર બર્ડ અને એનિમલ ફીડિંગને કારણે વધી રહેલી ગંદકી અને ન્યુસન્સને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે.
આ પ્રતિબંધના અમલીકરણ માટે મનપાએ સ્થાનિક પોલીસ અને રિવરફ્રન્ટ અધિકારીઓને સામેલ કરીને 10 સભ્યોની હાઈ-લેવલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટીમ રિવરફ્રન્ટ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરશે અને જાહેર સ્થળે પક્ષી કે પશુઓને ખોરાક આપતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરશે.
કોર્પોરેશન દ્વારા ‘હેલ્થ બાયલોઝ-2012’ની જોગવાઈ 50.1(7) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ મુજબ, જાહેર સ્થળે ગંદકી ફેલાવનાર વ્યક્તિ પાસેથી ઓછામાં ઓછો ₹100નો વહીવટી દંડ વસૂલવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને આ કાર્યવાહી વધુ સઘન બનાવવા સૂચના આપવામાં આવી છે.
રિવરફ્રન્ટ પર ચણ નાખવાને કારણે મોટી સંખ્યામાં કબૂતરો એકઠા થાય છે, જેના પરિણામે પક્ષીઓની વિષ્ટા, અનાજનો કચરો અને દુર્ગંધ ફેલાય છે. આ ઉપરાંત પશુઓને ખોરાક આપવાથી રખડતા ઢોરની સમસ્યા વધે છે, જે મોર્નિંગ વોકર્સ અને પ્રવાસીઓ માટે જોખમરૂપ બની રહી છે. આ તમામ પરિસ્થિતિને નિયંત્રિત કરવા કેટલ કંટ્રોલ વિભાગને પણ સક્રિય કરવામાં આવ્યો છે.
મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ પ્રતિબંધ માત્ર રિવરફ્રન્ટ સુધી મર્યાદિત છે, પરંતુ આગામી સમયમાં શહેરના અન્ય જાહેર સ્થળો જેમ કે લો ગાર્ડન, કાંકરિયા તળાવ અને મુખ્ય ચોરાહાઓ પર પણ તબક્કાવાર પ્રતિબંધ લાગુ કરવાની તૈયારી છે. ભવિષ્યમાં નિર્ધારિત ‘ફીડિંગ ઝોન’ બનાવવાની શક્યતા પણ તંત્ર વિચારી રહ્યું છે.
શ્રદ્ધા અને સ્વચ્છતા વચ્ચે સંતુલન જાળવવું એ મોટો પડકાર છે. મનપાનું કહેવું છે કે પુણ્યના નામે જાહેર સ્થળોને ગંદા કરવું યોગ્ય નથી. પક્ષીપ્રેમીઓએ ચબૂતરા અથવા નિર્ધારિત સ્થળો પર જ પક્ષીઓને ખોરાક આપવો જોઈએ, જેથી શહેરની સુંદરતા અને સ્વચ્છતા બંને જળવાઈ રહે.


Leave a Comment