માહિતી મુજબ, મૃગીકુંડ ખાતે સ્નાન દરમિયાન મહિલા પોલીસ નિરીક્ષક સાથે થયેલા ઘર્ષણ બાબતે પહેલેથી જ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આજે સાધુ-સંતોની લાગણી દુભાવવા અને ધાર્મિક પરંપરાનું અપમાન કર્યાના આક્ષેપ સાથે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ સત્તાવાર રીતે પોલીસમાં રજુઆત કરી છે. પોલીસે ફરિયાદ મળતા જ કીર્તિ પટેલને શોધવા માટે કાર્યવાહી તેજ કરી દીધી છે.
અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે અને સંભવિત સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ મહિલા પોલીસ નિરીક્ષક કે.જે. મોડ દ્વારા ગેરવર્તન અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી રહી છે.
ધાર્મિક સ્થળ અને પરંપરાની અવગણના
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પણ આ વિવાદને વધુ ઉગ્ર બનાવતા જોવા મળે છે. વીડિયોમાં કીર્તિ પટેલ નાગા સાધુઓ સાથે દેખાઈ રહી છે અને જૂના અખાડામાં સાધુ-સંતો સાથે ‘ઓમ નમો નારાયણ’ અને ‘હર હર મહાદેવ’ના નાદ કરતી નજરે પડે છે.
આ દૃશ્યોને લઈને કેટલાક સાધુ-સંતોએ આક્ષેપ કર્યો છે કે ધાર્મિક સ્થળ અને પરંપરાની અવગણના કરવામાં આવી છે. મહાશિવરાત્રીના પવિત્ર મેળા દરમિયાન બનેલી આ ઘટના રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે.
ધાર્મિક સંવેદનાઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતર્ક બની છે. આગામી દિવસોમાં તપાસના આધારે કાયદેસરની કાર્યવાહી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


Leave a Comment