સરકારે નવા નિયમો અમલમાં મૂકતાં પહેલાં જાહેર સૂચનો મંગાવવાનો નિર્ણય કર્યો છે. આગામી 30 દિવસ દરમિયાન રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મેળવવામાં આવશે.
લોકો સત્તાવાર વેબસાઇટ મારફતે પોતાના મંતવ્યો રજૂ કરી શકશે. પ્રાપ્ત સૂચનોના આધારે અંતિમ માળખું તૈયાર કરવામાં આવશે, જેથી કાયદામાં લોકભાગીદારી સુનિશ્ચિત થાય.
પ્રેમલગ્ન બાદ ઊભા થતા કુટુંબીય વિવાદો ચર્ચાનો વિષય
છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં પ્રેમલગ્ન બાદ ઊભા થતા કુટુંબીય વિવાદો ચર્ચાનો વિષય બન્યા છે. વિવિધ સામાજિક સંગઠનો, ખાસ કરીને પાટીદાર તેમજ ક્ષત્રિય-ઠાકોર સમાજ સાથે જોડાયેલી સંસ્થાઓ લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવાની માંગ કરી રહ્યા છે.
તેમની દલીલ મુજબ, લગ્ન જે તે દંપતીના રહેણાંક વિસ્તારમાં જ નોંધવા જોઈએ અને સ્થાનિક સ્તરે સત્તાધિકારીઓ તથા સાક્ષીઓની હાજરી સુનિશ્ચિત થવી જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય.
વિરોધ પક્ષના પ્રતિનિધિઓએ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો
આ મુદ્દે માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, પરંતુ વિરોધ પક્ષના પ્રતિનિધિઓએ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ સરકારના પગલાને સમર્થન આપતાં કહ્યું હતું કે, “આ ગુજરાતની વર્ષો જૂની પીડા છે. આ બિલ માટે હું બે વર્ષથી કામ કરતો હતો, આજે સરકારને અભિનંદન આપવા હું ઘરેથી ચાલીને આવીશ અને પાઘડી પહેરાવીશ.”
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિસ્તૃત ચર્ચા: હર્ષ સંઘવી
ગૃહમાં આપેલા નિવેદનમાં હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિસ્તૃત ચર્ચા થઈ છે. વિવિધ સામાજિક સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર એવું માળખું ઘડવા ઈચ્છે છે કે, જેમાં એક તરફ સામાજિક સંતુલન જળવાઈ રહે અને બીજી તરફ વ્યક્તિગત હકોનું પણ રક્ષણ થાય.
લગ્ન નોંધણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા ડિજિટલ વ્યવસ્થા, દસ્તાવેજોની પારદર્શક ચકાસણી અને સ્થાનિક સાક્ષીઓની ફરજિયાત હાજરી જેવા મુદ્દાઓ પર વિચારણા ચાલી રહી છે.



Leave a Comment