રાજપાલ યાદવના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે 19 ફેબ્રુઆરીના રોજ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં તેમની ભત્રીજીના લગ્ન છે,
જેમાં તેમની હાજરી અનિવાર્ય છે. આ પારિવારિક પ્રસંગને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે તેમને વચગાળાની મુક્તિ આપી છે. સુનાવણી દરમિયાન રાજપાલની કાનૂની ટીમે માહિતી આપી હતી કે અભિનેતાએ ₹1.5 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પણ જમા કરાવ્યો છે.
કોર્ટે તેમની સજા પર આગામી સુનાવણી સુધી સ્ટે આપતા કહ્યું કે, “અમે તમને સજા પર વચગાળાનો સ્ટે આપી રહ્યા છીએ, જે આગામી સુનાવણીની તારીખ સુધી અમલમાં રહેશે.”
ભલે રાજપાલ યાદવને જેલમાંથી બહાર આવવાની મંજૂરી મળી છે, પરંતુ કોર્ટે તેમની સામે કડક શરતો પણ મૂકી છે. કોર્ટના આદેશ મુજબ, રાજપાલ યાદવે પોતાનો પાસપોર્ટ સત્તાવાળાઓ પાસે જમા કરાવવો પડશે અને તેઓ પરવાનગી વિના દેશની બહાર જઈ શકશે નહીં.
આ કેસની આગામી સુનાવણી 18 માર્ચના રોજ નક્કી કરવામાં આવી છે, ત્યાં સુધી તેમને કોર્ટના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.
રાજપાલ યાદવની મુશ્કેલીઓ ત્યારે વધી હતી જ્યારે તેઓ ફરિયાદી કંપની ‘મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ ને કરાર મુજબ નાણાં ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે અગાઉ તેમની જામીન અરજી ફગાવી દેતા ટિપ્પણી કરી હતી કે, “રાજપાલ યાદવ માત્ર કોર્ટના આદેશને કારણે જેલમાં નથી,
પરંતુ તે એટલા માટે જેલમાં છે કારણ કે તેમણે કોર્ટ સાથે થયેલા સમાધાનની શરતો અને આપેલા વચનનું પાલન કર્યું નથી.” વારંવાર ડિફોલ્ટર જાહેર થયા બાદ તેમને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવું પડ્યું હતું.


Leave a Comment