ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો થઈ ગયો છે અને હવે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાની ટીમનો ઘરઆંગણે સામનો કરવા માટે તૈયાર છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસની શરૂઆત 2 મેચની ટેસ્ટ સીરિઝથી કરશે. આ પછી, બંને ટીમો વચ્ચે 3 ODI મેચ અને 5 મેચની T20I સીરિઝ રમાશે.
ટેસ્ટ સીરિઝની વાત કરીએ તો, પ્રથમ ટેસ્ટ મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ઈડન ગાર્ડન્સ ખાતે છેલ્લી વખત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવેમ્બર 2019માં ટેસ્ટ મેચ રમાઈ હતી. 6 વર્ષ પછી અહીં ટેસ્ટ મેચ રમાશે.
- સચિન તેંડુલકરને પાછળ છોડી દેવાની તક
ઈડન ગાર્ડન્સ ખાતે રમાનારી ટેસ્ટ મેચમાં બધાની નજર ભારતીય કેપ્ટન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને કેએલ રાહુલ પર રહેશે, ત્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ બેટ અને બોલ બંનેથી મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે ઉત્સુક રહેશે. આ મેચ જાડેજાને મહાન સચિન તેંડુલકરને પાછળ છોડી દેવાની એક મોટી તક આપે છે.
- શું સચિન તેંડુલકર પાછળ રહી જશે?
રવિન્દ્ર જાડેજાએ ઈડન ગાર્ડન્સ ખાતે 3 ટેસ્ટ મેચની 6 ઇનિંગ્સમાં 4 વિકેટ લીધી છે. હવે, દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 2 વિકેટ લઈને, જાડેજા ઈડન ગાર્ડન્સ ખાતે ટેસ્ટ વિકેટ લેવાની બાબતમાં સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે.
ઈડન ગાર્ડન્સ ખાતે 13 ટેસ્ટ મેચની 12 ઇનિંગ્સમાં સચિન તેંડુલકરના નામે 5 વિકેટ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 34357 રન બનાવનાર સચિનનો શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કોલકાતામાં 31 રનમાં 3 વિકેટ છે. જ્યારે, જાડેજાનો શ્રેષ્ઠ પ્રદર્શન 41 રનમાં 3 વિકેટ છે.
- જાડેજા પાસે ખાસ ક્લબમાં જોડાવાની તક
રવિન્દ્ર જાડેજાના ટેસ્ટ કરિયરમાં 87 ટેસ્ટ મેચની 169 ઇનિંગ્સમાં 338 વિકેટો લીધા છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં જાડેજા પાસે 350 ટેસ્ટ વિકેટનો આંકડો પાર કરવાની શાનદાર તક હશે.
આ સિદ્ધિ મેળવવા માટે, તેને બે ટેસ્ટ મેચની સીરિઝમાં ફક્ત 12 વિકેટ લેવાની જરૂર પડશે. આનાથી તે 350 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર પાંચમો ભારતીય બોલર બનશે. ફક્ત અનિલ કુંબલે, આર. અશ્વિન, કપિલ દેવ અને હરભજન સિંહે જ આ સિદ્ધિ મેળવી છે.
- ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરો
-અનિલ કુંબલે – 619
-આર અશ્વિન – 537
-કપિલ દેવ – 434
-હરભજન સિંહ – 417
-રવિન્દ્ર જાડેજા – 338


Leave a Comment