ગંભીરે એક કાર્યક્રમ દરમિયાન અત્યંત પ્રામાણિકતાથી સ્વીકાર્યું કે છેલ્લા દોઢ વર્ષમાં તેમનાથી કેટલીક ભૂલો થઈ છે, જેના કારણે ટીમના ડ્રેસિંગ રૂમના સમીકરણો પર અસર પડી હતી.
“હું પણ માણસ છું, ભૂલો થઈ શકે”
ગંભીરે સ્પષ્ટવક્તા તરીકે પોતાની છબી જાળવી રાખતા કહ્યું, “હું માણસ છું અને મને ભૂલો કરવાની છૂટ હોવી જોઈએ. ખેલાડીઓને પણ ભૂલો કરવાનો પૂરો અધિકાર છે. છેલ્લા 18 મહિનામાં મારાથી કેટલીક ચૂક થઈ હશે અને હું તે સ્વીકારતા જરાય શરમાતો નથી. હું હંમેશા માનું છું કે જો તમારો ઇરાદો સાચો હોય, તો લેવાયેલો ખોટો નિર્ણય પણ સ્વીકારી શકાય છે. પરંતુ જો ઇરાદો જ ખોટો હોય, તો તે નિર્ણય ડ્રેસિંગ રૂમમાં સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”
ગંભીરે વધુમાં ઉમેર્યું કે, કોચ તરીકે તેમની સૌથી મોટી પ્રાથમિકતા ખેલાડીઓ સાથેની પ્રામાણિકતા છે. જ્યાં સુધી તેઓ ખેલાડીઓની આંખોમાં જોઈને તેમની સાથે નિખાલસતાથી વાત કરી શકે છે, ત્યાં સુધી તેમને લાગે છે કે તેઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી રહ્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ અને ટીમની પડતી
ગૌતમ ગંભીરના કોચિંગ કાર્યકાળના થોડા મહિનાઓમાં જ ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા. 2024-25ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. તે પહેલાં ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ શ્રેણીબદ્ધ નિષ્ફળતા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી, જેણે ક્રિકેટ જગતમાં આંચકો આપ્યો હતો. આ હાર બાદ BCCIએ કડક વલણ અપનાવીને ટીમના પ્રદર્શનની સમીક્ષા કરી હતી અને નવી માર્ગદર્શિકા લાગુ કરી હતી.


Leave a Comment