દાહોદના પરેલ ત્રણ રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો. દાહોદ નજીક આવેલા વાંદરીયા ગામના 63 વર્ષીય વૃદ્ધ મોહનભાઈ ગરાસિયા પોતાની સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી એક ક્રૂઝર ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મોહનભાઈ સાયકલ સાથે ગાડીના નીચેના ભાગમાં ફસાઈ ગયા હતા.
ગાડી ચાલકે અકસ્માતથી બચવા ગાડી દોડાવી
ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે અકસ્માતથી બચવા ગાડી દોડાવી મૂકી હતી, જેના કારણે સાયકલ સવાર વૃદ્ધ અંદાજે અડધો કિલોમીટર સુધી રસ્તા પર ઢસડતા રહ્યા હતા. આ હચમચાવી દેતી ઘટનામાં વૃદ્ધનું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
1 કિલોમીટર દૂરથી મળ્યો મૃતદેહ
અકસ્માત સર્જાયાના સ્થળથી અંદાજે એક કિલોમીટર દૂર પરેલના કારખાના નજીકથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. રસ્તા પર લોહીના ડાઘા અને શરીર ઘસાવાના નિશાનો જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા દાહોદ બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ વાંદરીયા ગામના મોહનભાઈ તરીકે કરી તેમના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારમાં મોહનભાઈના મોતના સમાચાર મળતા જ માતમ છવાઈ ગયો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી: આરોપી ચાલક ઝડપાયો
પોલીસે હિટ એન્ડ રનની આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. ટૂંકા ગાળામાં જ પોલીસે ઘાતકી રીતે અકસ્માત સર્જનાર ક્રૂઝર ગાડીના ચાલકને શોધી કાઢી તેની ધરપકડ કરી લીધી છે.


Leave a Comment