RBIના પ્રસ્તાવિત નિયમો અનુસાર, જે ગ્રાહકને ઓનલાઈન બેંકિંગ વ્યવહારોમાં છેતરપિંડીને કારણે ₹50,000 સુધીનું નુકસાન થાય છે, તેઓ વળતર મેળવી શકે છે. ગ્રાહકને કુલ નુકસાનના 85 ટકા અથવા વધુમાં વધુ ₹25,000 (જે ઓછું હોય તે) વળતર તરીકે આપવામાં આવશે. જોકે, આ લાભ જીવનકાળમાં ફક્ત એક જ વાર મેળવી શકાશે.
ક્યારે મળશે વળતર?
વળતર મેળવવા માટે કેટલીક ચોક્કસ શરતો નિર્ધારિત કરવામાં આવી છે. સૌ પ્રથમ, ગ્રાહકે છેતરપિંડી થયાના પાંચ દિવસની અંદર બેંક અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અથવા હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરવી આવશ્યક છે. વધુમાં, બેંકની તપાસમાં એ સાબિત થવું જોઈએ કે છેતરપિંડી સાચી છે અને તેમાં ગ્રાહક તરફથી કોઈ ઈરાદાપૂર્વકની બેદરકારી નથી.
કેટલાક કિસ્સાઓમાં ગ્રાહકની ‘Zero Liability’ રહેશે
RBIના ડ્રાફ્ટ નિયમો મુજબ, જો બેંકની બેદરકારી અથવા સુરક્ષામાં ખામીને કારણે ઓનલાઈન છેતરપિંડી થાય, તો ગ્રાહક જવાબદાર ગણાશે નહીં. આવા કિસ્સાઓમાં ગ્રાહક સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે. આ ઉપરાંત, જો છેતરપિંડી કોઈ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવી હોય અને ગ્રાહક પાંચ દિવસની અંદર તેની જાણ કરી દે, તો પણ ગ્રાહકની જવાબદારી શૂન્ય ગણવામાં આવશે.
બેંકોએ તાત્કાલિક ચેતવણીઓ મોકલવી પડશે
ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે RBIએ બેંકોને અનેક માર્ગદર્શિકા જારી કરી છે. હવેથી તમામ ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારો માટે ગ્રાહકોને SMS અને ઇમેઇલ દ્વારા ચેતવણી મોકલવી ફરજિયાત રહેશે. ખાસ કરીને ₹500 થી વધુના દરેક વ્યવહાર માટે તાત્કાલિક SMS એલર્ટ મોકલવામાં આવશે, જેથી ગ્રાહકો કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને તુરંત ઓળખી શકે.


Leave a Comment