દેશવ્યાપી Special Intensive Revision (SIR) પ્રક્રિયા દરમિયાન BLO પર વધતા દબાણ, FIR અને આત્મહત્યાઓના આક્ષેપો વચ્ચે આજે સુપ્રીમ કોર્ટએ મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે.
સુનાવણી દરમિયાન CJI સૂર્ય કાન્તે સ્પષ્ટ જણાવ્યું કે SIR એક કાયદેસર પ્રક્રિયા છે, અને તેને પૂર્ણ કરવી રાજ્ય સરકારો તથા નિયુક્ત કર્મચારીઓની ફરજ છે. જો કર્મચારી ઓછા પડે અથવા કાર્યભાર અતિરે, તો રાજ્ય સરકારે તાત્કાલિક પૂરતો સ્ટાફ ઉપલબ્ધ કરાવવો જોઈએ.
કોર્ટમાં જણાયું કે દેશભરમાં 35–40 જેટલા BLO આત્મહત્યા કરી ચૂક્યા છે, જેમાં મોટા ભાગે આંગણવાડી કાર્યકર, શિક્ષકો અને અન્ય નોન-ટેક્નિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. વરિષ્ઠ વકીલોએ દલીલ કરી કે SIR પ્રક્રિયામાં ઉતાવળ અને વધારાના દબાણને કારણે સ્ટાફ માનસિક અને શારીરિક તણાવમાં આવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં તો SIR સમયમર્યાદા ચૂકી જતાં લગભગ 50 BLO સામે FIR નોંધાયાં છે, જેને લઈને કોર્ટ ગંભીર બની.
CJIએ રાજ્યોને ટોકતાં કહ્યું કે જો મુશ્કેલી હોય તો તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કેમ નથી કરતા? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે BLO અથવા સ્ટાફ પરનો દબાણ તરત ઓછો કરવો જોઈએ, તેમજ જરૂર હોય તો બદલી અથવા વધારાની નિમણૂક કરવી ફરજિયાત છે.
હાલમાં ચૂંટણી પંચે SIR પ્રક્રિયાના સમયગાળામાં વધારો કર્યો છે, પરંતુ BLOની મુશ્કેલી, મૃત્યુ અને FIRને કારણે SIR હવે દેશવ્યાપી રાજકીય–કાનૂની ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. કોર્ટએ સ્પષ્ટ કર્યું કે કર્મચારીઓને સુરક્ષિત અને દબાણમુક્ત કાર્યપર્યાવરણ આપવું રાજ્ય અને ચૂંટણી પંચ બંનેની જવાબદારી છે.


Leave a Comment