T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને સુપર-8 રાઉન્ડમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. હવે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે રમાવાની છે. ભારત અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચોમાં જીત હાંસલ કરી ચૂક્યું છે.
પહેલા અમેરિકા અને પછી નામિબિયાને હરાવ્યા બાદ રવિવારે પાકિસ્તાન સામે 61 રનની જોરદાર જીત નોંધાવી ટીમે આત્મવિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો હતો.
ટીમ મેનેજમેન્ટ માટે સારો અવસર
સુપર-8માં સ્થાન નિશ્ચિત થઈ ગયેલ હોવાથી નેધરલેન્ડ્સ સામેની મેચ ભારત માટે પરિણામની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ નથી. હકીકતમાં, ટીમ મેનેજમેન્ટ માટે આ એક સારો અવસર બની શકે છે જેમાં કેટલાક મુખ્ય ખેલાડીઓને આરામ આપી નવા ખેલાડીઓને અજમાવી શકાય છે.
આગળના ચરણમાં ભારતનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા તેમજ ઓસ્ટ્રેલિયા કે ઝિમ્બાબ્વે જેવી મજબૂત ટીમો સામે થઈ શકે છે. તેથી ટીમ સંયોજનને વધુ સંતુલિત અને મજબૂત બનાવવા માટે આ યોગ્ય સમય ગણાય.
જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે
માહિતી મુજબ, જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. તેઓ તાવને કારણે અમેરિકા સામેની મેચમાં ભાગ લઈ શક્યા ન હતા અને આગળના પડકારોને ધ્યાનમાં રાખીને તેમને તાજગી આપવી યોગ્ય ગણાય.
તેમની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક મળી શકે છે, જેથી ટીમ તેની તૈયારી અને ફોર્મની કસોટી કરી શકે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગને અનુકૂળ માનવામાં આવે છે, તેથી બોલરો માટે અહીં પોતાનું કૌશલ્ય સાબિત કરવાની તક રહેશે.
હાર્દિક પંડ્યાને પણ આરામ
હાર્દિક પંડ્યાને પણ આરામ આપવામાં આવી શકે છે. તેઓ અત્યાર સુધીની ત્રણેય મેચોમાં રમ્યા છે અને ઓલરાઉન્ડર તરીકે સતત યોગદાન આપ્યું છે. આવનારી મહત્વપૂર્ણ મેચોને ધ્યાનમાં રાખીને તેમની ફિટનેસ જાળવવી જરૂરી છે.
જો પંડ્યા ન રમે તો શિવમ દુબેને વધુ જવાબદારી સોંપી શકાય. દુબેને નવી બોલ સાથે બોલિંગ કરવાની તક આપવામાં આવી શકે અને સંપૂર્ણ ચાર ઓવર ફેંકાવી તેની ક્ષમતા અજમાવી શકાય. આથી ટીમને ખબર પડશે કે મોટી મેચોમાં તે કેટલો અસરકારક સાબિત થઈ શકે.


Leave a Comment