સાઇબર ફ્રોડ અને ડિજિટલ ગુનાઓના વધતા જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે મોબાઇલ ફોન કંપનીઓ પર કડક નિયંત્રણ લાદવાની તૈયારીમાં છે. પ્રસ્તાવિત સંચાર સુરક્ષા નીતિ હેઠળ સ્માર્ટફોનમાં રહેલી એપ્સને કેમેરા અને માઇક્રોફોન સુધીની ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરવામાં આવી છે. સાથે જ, ફોન ઉત્પાદકો માટે 83 સુરક્ષા માપદંડો ફરજિયાત બનાવવાની યોજના છે, જેના કારણે ટેક ઉદ્યોગમાં ચર્ચા અને વિરોધ તેજ થયો છે.
સોફ્ટવેરનો સોર્સ કોડ ભારત સરકાર
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવ અંતર્ગત મોબાઇલ ફોન કંપનીઓએ તેમના ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરનો સોર્સ કોડ ભારત સરકારને આપવો પડશે. આ સોર્સ કોડનું વિશ્લેષણ ભારતની અંદર આવેલી સરકારી લેબોરેટરીમાં કરવામાં આવશે અને જરૂર પડ્યે તેની સુરક્ષા તપાસ પણ થશે. સરકારનું માનવું છે કે આ પગલાંથી છુપાયેલા બેકડોર, મેલવેર અથવા ડેટા લીક જેવી સમસ્યાઓને સમયસર ઓળખી શકાય. પ્રસ્તાવમાં એ પણ સૂચવાયું છે કે સ્માર્ટફોનમાંથી અનિવાર્ય રીતે પ્રી-ઇન્સ્ટોલ કરેલી એપ્સ (બ્લોટવેર) દૂર કરવાની સગવડ યુઝર્સને આપવી પડશે. આ ઉપરાંત, કોઈપણ સોફ્ટવેર અપડેટ, સિક્યોરિટી પેચ અથવા ટેક્નિકલ ફેરફાર અંગેની સંપૂર્ણ માહિતી કંપનીઓએ નેશનલ સેન્ટર ફોર કમ્યુનિકેશન સિક્યોરિટી (NCCS)ને આપવી પડશે. સાઇબર ખતરાઓ સામે લડવા માટે ફોનમાં સમયાંતરે ઓટોમેટિક મેલવેર સ્કેનિંગ કરવાની પણ જોગવાઈ સૂચવાઈ છે.
સોર્સ કોડ ખુલાસા જેવા નિયમો લાગુ નથી
સૂત્રો જણાવે છે કે આ સંચાર સુરક્ષા પ્રસ્તાવ મૂળરૂપે વર્ષ 2023માં તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સરકાર તેને કાયદેસર રીતે અમલમાં મૂકવા માંગે છે. આ મુદ્દે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલય ટૂંક સમયમાં મોબાઇલ ફોન ઉત્પાદક કંપનીઓ સાથે બેઠક યોજી શકે છે. જો કે, સ્માર્ટફોન કંપનીઓ અને ઉદ્યોગ સંગઠનોએ આ પ્રસ્તાવનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. ભારતના મેન્યુફેક્ચર્સ એસોસિયેશન ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી (MAIT)એ સરકારને આ નિયમો પર પુનર્વિચાર કરવા કહ્યું હોવાનું સૂત્રો જણાવે છે. કંપનીઓનું કહેવું છે કે વિશ્વના કોઈ પણ મોટા દેશમાં આવા સોર્સ કોડ ખુલાસા જેવા નિયમો લાગુ નથી. તેમનો દાવો છે કે નિયમિત મેલવેર સ્કેનિંગથી ફોનની બેટરી ઝડપથી ખતમ થશે અને એક વર્ષનો ડેટા સંગ્રહ રાખવાની શરત વ્યવહારુ નથી, કારણ કે મોટાભાગના ફોનમાં એટલી સ્ટોરેજ ક્ષમતા હોતી નથી.
હિતધારકોની સલાહ લેવામાં આવશે
ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ એસ. કૃષ્ણાએ જણાવ્યું છે કે કંપનીઓના તમામ સૂચનો અને આપત્તિઓ પર ખુલ્લા મનથી વિચાર કરવામાં આવશે. હાલ આ પ્રસ્તાવ પ્રારંભિક તબક્કામાં છે અને અંતિમ નિર્ણય પહેલા તમામ હિતધારકોની સલાહ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાઇબર સુરક્ષા મજબૂત કરવી અને નાગરિકોની વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગ્રતા છે. ભારત વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સ્માર્ટફોન બજાર છે, જ્યાં અંદાજે 75 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તેથી આ નિર્ણયનો વ્યાપક પ્રભાવ પડી શકે છે.


Leave a Comment