Vadodaraમાં બકરાવાડી વિસ્તારમાં આવેલા નારાયણ એવન્યુમાં રહેતા બંટી નામના શખ્સને ગત મોડી રાત્રે તેની પત્ની સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. ગુસ્સામાં અંધ બનેલા બંટીએ ઘરમાં રહેલા તીક્ષ્ણ ચાકુ વડે પત્ની પર ઉપરાછાપરી ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. આ હુમલો એટલો ભયાનક હતો કે મહિલા લોહીથી લથપથ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી હતી અને ગંભીર ઈજાઓને કારણે તેનું ટૂંક સમયમાં જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ DCP ઝોન-4 એન્ડ્ર્યુ મેકવાન સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક નારાયણ એવન્યુ ખાતે દોડી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. DCP એન્ડ્ર્યુ મેકવાને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “મહિલાની હત્યાની બાતમી મળતા જ પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘરકંકાસનો મામલો જણાય છે.”
FSLની મદદથી પુરાવા એકત્ર કરાયા
પોલીસે આ કેસમાં વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમની પણ મદદ લીધી છે. FSL ના અધિકારીઓએ ઘટનાસ્થળ પરથી લોહીના નમૂના, હત્યામાં વપરાયેલું હથિયાર અને અન્ય ભૌતિક પુરાવાઓ એકત્ર કર્યા છે. ત્યારબાદ મૃતક મહિલાના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો છે.


Leave a Comment