ગાંધીનગરના ઇન્દ્રોડા કટ પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના કરુણ મોત થયા છે. પૂરપાટ ઝડપે આવી રહેલી બુલેટે બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માત એટલો ગંભીર બન્યો કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
મળતી માહિતી મુજબ, સેક્ટર-8માં રહેતા નિવૃત્ત જશપાલસિંહ ડાભીના 40 વર્ષીય પુત્ર જગદીશસિંહ ડાભી અને તેમનો ભાણો ઘનશ્યામસિંહ ચાવડા ઇન્દ્રોડા ગામમાં અંગત કામસર ગયા હતા. સાંજે આશરે 6:45 વાગ્યે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રોડા સર્કલ તરફથી પૂરઝડપે આવેલી બુલેટે તેમને અડફેટે લીધા હતા.
અકસ્માત બાદ બંનેને ગંભીર હાલતમાં 108 મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ ઘનશ્યામસિંહને મૃત જાહેર કર્યા હતા, જ્યારે જગદીશસિંહને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મોડી રાત્રે જગદીશસિંહે પણ અંતિમ શ્વાસ લીધા હતા.
આ બનાવ અંગે પિતા જશપાલસિંહ ડાભીએ સેક્ટર-7 પોલીસ મથકે બુલેટ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ચાલક બેદરકારી અને ગફલતભરી રીતે વાહન હંકારતો હતો, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો. પોલીસે વાહન નંબરના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ઇન્દ્રોડા કટ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણની પૂરતી વ્યવસ્થા નથી, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. લોકો દ્વારા અહીં સ્પીડ બ્રેકર અથવા ટ્રાફિક સિગ્નલ લગાવવાની માંગ ઉઠી છે.
સેક્ટર-7 પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાની પ્રક્રિયા શરૂ કરી છે અને અકસ્માતની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.


Leave a Comment