દેશમાં ડિજિટલ સુરક્ષા અને પ્રાઇવસી મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર અને UIDAI એક મોટો બદલાવ અમલમાં મૂકી રહ્યા છે. નવા નિયમ અનુસાર, કોઈપણ હોટેલ, ઇવેન્ટ આયોજક, રિટેલ સ્ટોર, ટ્રાવેલ એજન્સી અથવા અન્ય સંસ્થા હવે આધાર કાર્ડની ફિઝિકલ ફોટોકૉપી લેવી, સ્કેન કરવી અથવા સ્ટોર કરવી ગેરકાયદેસર ગણાશે. ફક્ત ડિજિટલ અને સુરક્ષિત ઑફલાઇન વેરિફિકેશન જ માન્ય
- પ્રાઇવસી અંગેની વધતી ચિંતાઓ
સરકારી સૂત્રો જણાવે છે કે ઘણી સંસ્થાઓ લાંબા સમય સુધી આધારની કાગળ પરની નકલો રાખતી હતી, જેને કારણે ડેટા લીક અને દુરુપયોગનું જોખમ વધી ગયું હતું. આ પ્રથા આધાર કાયદાની કલમોનું ઉલ્લંઘન પણ કરે છે. તેથી UIDAIએ હવે ફિઝિકલ કૉપી બંધ કરીને સુરક્ષિત QR કોડ અને API આધારિત વેરિફિકેશન ફરજિયાત કર્યું છે.
- સંસ્થાઓએ UIDAIમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે
UIDAIના CEO ભૂવનેશ કુમારના જણાવ્યા પ્રમાણે, જે સંસ્થાઓ ઑફલાઇન વેરિફિકેશન કરશે, તેમને UIDAIમાં અનિવાર્ય રીતે રજીસ્ટર થવું પડશે. કોઈપણ પ્રકારની કાગળની નકલ લેવી હવે નિયમ વિરોધી રહેશે.
- નેટવર્ક વગર પણ થશે વેરિફિકેશન
UIDAI એક નવી મોબાઇલ એપનું બીટા ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેનાથી ‘એપ-ટુ-એપ’ ઑફલાઇન આધાર વેરિફિકેશન શક્ય બનશે. આ સિસ્ટમમાં:
લાઈવ સર્વર કનેક્શન જરૂરી નહીં
એરપોર્ટ, સ્ટેડિયમ, મેળા, રિટેલ આઉટલેટ્સ જેવા સ્થળોએ વેરિફિકેશન સરળ
સર્વર ડાઉન જેવી સમસ્યાનો અંત
QR કોડ સ્કેન સાથે ઝડપી પ્રોસેસ
આધાર વેરિફિકેશન વારંવાર અટકી જતી સમસ્યા દૂર થશે.
- DPDP Act સાથે સંપૂર્ણ સુસંગતતા
આ ફેરફારો આવનારા Digital Personal Data Protection Act (DPDP Act) સાથે મેળ ખાતા છે. કાગળની નકલ સૌથી વધુ લીક થવાની શક્યતા રાખે છે, જ્યારે નવી ડિજિટલ સિસ્ટમ નાગરિકોના સંવેદનશીલ ડેટાને વધુ સુરક્ષિત બનાવશે.
સરકાર માને છે કે આ નિર્ણય ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમને વધુ સુરક્ષિત અને પ્રાઇવસી-પ્રતિબદ્ધ બનાવશે.


Leave a Comment