બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકાબેન છેલ્લા બે વર્ષથી કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ પર હતા. તાજેતરમાં જ તેમણે PSIની દોડ પરીક્ષા સફળતાપૂર્વક પાર કરી હતી અને હવે લેખિત પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા. પરીક્ષાની તૈયારી માટે તેઓ છેલ્લા દસ દિવસથી રજા પર હતા, એવી માહિતી બાપોદ પોલીસ સ્ટેશનના PI એમ.કે. ગુર્જરે આપી હતી.
ઘટનાની માહિતી મુજબ, 4 માર્ચની રાત્રે લગભગ 11 થી 11:30 વાગ્યાની વચ્ચે તેમની એક મહિલા મિત્ર લેખિત પરીક્ષાના અભ્યાસની સામગ્રી આપવા તેમના ઘરે પહોંચી હતી. વારંવાર દરવાજો ખખડાવ્યા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા શંકા ઊભી થઈ.
અંતે દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા પ્રિયંકાબેન પંખા પર ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસકર્મીઓએ પ્રિયંકાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
માહિતી મળતા જ પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસકર્મીઓએ ઉપર જઈ તપાસ કરતાં ઘટનાની પુષ્ટિ થઈ હતી. બાદમાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પોલીસકર્મીઓએ પ્રિયંકાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના અચાનક નિધનથી પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે. પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
આપઘાતનું કારણ
પ્રાથમિક તપાસ દરમિયાન આપઘાતનું કોઈ નોંધપાત્ર કારણ મળી આવ્યું નથી. પોલીસ દ્વારા હાલ ‘આકસ્મિક મોત’ નો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારજનો તથા સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રિયંકાબેન પર કોઈ વિશેષ માનસિક તણાવ હોવાની જાણકારી હાલ સુધી મળી નથી. તેઓ મુખ્યત્વે પોતાની PSI પરીક્ષાની તૈયારીમાં જ વ્યસ્ત રહેતા હતા. તેમ છતાં, આપઘાતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ વિવિધ દિશામાં આગળ ધપાવવામાં આવી રહી છે.
આ ઘટનાએ પોલીસ વિભાગ સહિત સમગ્ર શહેરમાં દુઃખની લાગણી પેદા કરી છે. યુવા અને મહત્ત્વાકાંક્ષી મહિલા અધિકારીએ આવું પગલું કેમ ભર્યું, તે પ્રશ્નનો જવાબ શોધવા પોલીસ તંત્ર પ્રયત્નશીલ છે.


Leave a Comment