Vijapur News : મહેસાણામાં અંધશ્રદ્ધાનો ઘૃણાસ્પદ કિસ્સો: પરિણીતાને ચારિત્ર્યની શુદ્ધિ માટે ઉકળતા તેલમાં હાથ નાખવા મજબૂર કરી

વિજાપુર તાલુકાના ગેરિતા ગામની આ ઘટનામાં, પીડિત પરિણીતા પર તેના સાસરિયાઓ દ્વારા અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો વહેમ રાખવામાં આવ્યો હતો. આ શંકાના આધારે, તેને સમાજમાં પ્રવર્તતી ‘અગ્નિપરીક્ષા’ જેવી અંધશ્રદ્ધાનો ભોગ બનાવવામાં આવી.
પીડિતાને ઉકળતા તેલમાં હાથ નાખવા દબાણ કરવામાં આવ્યું
આરોપ મુજબ, પીડિતાને ગરમ અને ઉકળતા તેલની કડાઈ પાસે લાવીને તેમાં હાથ નાખવા માટે દબાણ કરવામાં આવ્યું. આ કૃત્યથી પણ સંતોષ ન થતાં, તેના પગ પર ઉકળતું તેલ નાખવામાં આવ્યું, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગઈ.
ચાર આરોપીઓ સામે ફરિયાદ
આ ઘૃણાસ્પદ ઘટના અંગે પીડિતાએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતાની નણંદ, નણદોઇ સહિત સાસરીપક્ષના કુલ ચાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
લોકોમાં ભારે આક્રોશ
આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે અને અંધશ્રદ્ધાના નામે થતા આવા અત્યાચાર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ઝડપી અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.