રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વનડે મેચમાં 135 રનની શાનદાર સદી ફટકારી ભારતને 17 રનની જીત અપાવનાર વિરાટ કોહલીએ પોતાની ક્રિકેટિંગ ભવિષ્ય વિશે મોટું નિવેદન આપ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી તેની ટેસ્ટ રમતમાં વાપસી સંબંધિત અટકળોને પૂર્ણ વિરામ આપતાં કોહલીએ સ્પષ્ટ કહ્યું છે કે હવે તે ભારત માટે ફક્ત એક જ ફોર્મેટ — ODI રમીશ અને આ નિર્ણયમાં ફેરફાર નહીં થાય.
કોહલીએ 120 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 135 રનની ઝળહળતી ઇનિંગ્સ રમી હતી, જેના આધારે ભારતે 349 રનનો મોટો સ્કોર ઉભો કર્યો. આ પ્રદર્શન બદલ તે ‘પ્લેયર ઑફ ધ મેચ’ પણ રહ્યો.
મેચ પછી મીડિયા સાથે વાત કરતાં કોહલીએ ટેસ્ટ રિટર્નની ચર્ચાઓને નકારી કાઢી. તાજેતરની ટેસ્ટ સિરીઝમાં ભારતને મળેલા 0-2ના ક્લીન સ્વીપ બાદ તેની પુનરાગમન ચર્ચા થઈ રહી હતી, પરંતુ કોહલીએ કહ્યું:
“હું હવે માત્ર એક જ ફોર્મેટ રમી રહ્યો છું અને મારા માટે હંમેશા આવું જ રહેશે.”
તેણે સમજાવ્યું કે લાંબા સમય સુધી ત્રણેય ફોર્મેટ રમ્યા બાદ શરીર, ફિટનેસ અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. તેના કહેવા મુજબ જ્યારે ખેલાડી સારા ફોર્મમાં હોય ત્યારે અનુભવ તેને યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદ કરે છે.
આ નિવેદન બાદ સ્પષ્ટ છે કે વિરાટ કોહલી હવે પોતાની ઊર્જા સંપૂર્ણપણે ODI ફોર્મેટમાં જ કેન્દ્રિત કરશે અને ટીમ માટે સતત યોગદાન આપવાની પ્રતિબદ્ધતા રાખશે.


Leave a Comment