બનાસકાંઠા | ગુજરાત ડેસ્ક ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે વર્ષોથી ચાલી રહેલી અટકળો પર આખરે પૂર્ણવિરામ મૂકી દીધું છે. યાત્રાધામ અંબાજીમાં યોજાયેલી ભવાનીધામ સંકલ્પ યાત્રા દરમિયાન જાહેર મંચ પરથી તેમણે રાજકારણમાં આવવાની સત્તાવાર જાહેરાત કરી છે. તેમના આ નિવેદન બાદ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
હજારોની હાજરીમાં મોટું એલાન
અંબાજી ખાતે અભિજિતસિંહ બારડની આગેવાનીમાં યોજાયેલી ભવ્ય સંકલ્પ યાત્રામાં વિક્રમ ઠાકોર અને જીગ્નેશ બારોટ જેવા લોકપ્રિય કલાકારો હાજર રહ્યા હતા. સ્ટેજ પરથી સંબોધન કરતા વિક્રમ ઠાકોરે જણાવ્યું કે, તેઓ રાજકારણમાં આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સાથે જ તેમણે અભિજિતસિંહ બારડને પણ રાજકારણમાં સક્રિય ભૂમિકા માટે સાથે લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
“આજે નહીં તો કાલે, રાજકારણ નક્કી છે”
વિક્રમ ઠાકોર છેલ્લા કેટલાક સમયથી સામાજિક કાર્યક્રમોમાં સતત સક્રિય રહ્યા હતા, જેના કારણે તેમના રાજકીય પ્રવેશની ચર્ચાઓ તેજ બની હતી. અત્યાર સુધી તેઓ આ મુદ્દે ટાળટૂળ કરતા હતા, પરંતુ અંબાજીની પવિત્ર ધરતી પર તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,
“આજે નહીં તો કાલે, પણ હું રાજકારણમાં જોડાવાનો જ છું.”
ઉત્તર ગુજરાતના મતગણિતમાં મોટો ફેરફાર?
વિક્રમ ઠાકોરની લોકપ્રિયતા ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યંત મજબૂત છે. ઠાકોર સમાજ અને યુવા વર્ગમાં તેમનો પ્રભાવ જોતા, તેઓ રાજકારણમાં સક્રિય થાય તો મતગણિતમાં મોટો ફેરફાર આવી શકે છે. આ જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય છાવણીઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ફિલ્મથી વિધાનસભા સુધીનો માર્ગ?
ગુજરાતી સિનેમામાંથી રાજકારણમાં પ્રવેશ કરવાના ઉદાહરણો પહેલેથી હાજર છે. નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા બાદ હવે વિક્રમ ઠાકોર પણ એ જ માર્ગે આગળ વધતા હોય તેમ લાગી રહ્યું છે. ક્ષત્રિય અને ઠાકોર સમાજના અગ્રણીઓની હાજરીમાં થયેલી આ જાહેરાતને ભવિષ્યની ચૂંટણી માટે મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર ઉત્સાહ
વિક્રમ ઠાકોરની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર સમર્થકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. “વિક્રમ ભાઈ આગળ વધો” જેવા નારા ટ્રેન્ડ થઈ રહ્યા છે, તો બીજી તરફ ટીકાકારો ફિલ્મી છબી અને વાસ્તવિક રાજકારણ વચ્ચેનો તફાવત દર્શાવી રહ્યા છે.


Leave a Comment