- ઓગાણ ગામ પાસે કેનાલ પાળો તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં
- સમગ્ર તાલુકાના વિસ્તારોમાં પાણીથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી
- ખેતરો પાણીથી તરબોળ થતા ખેતીમાં મોટુ નુકશાન થવાથી ખેડૂતો ચિંતિત બન્યા
વિરમગામ : રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલ સાયકલોનની અસર હેઠળ છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતા વિરમગામ શહેર સહિત સમગ્ર તાલુકાના વિસ્તારોમાં પાણીથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
વિરમગામ શહેરમાં આવવાના મુખ્ય માર્ગો આસોપાલવ હોટલ ત્રિરંગા સર્કલ, બાલાપિર દરગાહ પંદર ગરનાળા રોડ, નગરપાલિકા કચેરી પાસેથી માંડલ તરફ્નો માર્ગ સહિત નીચાણવાળા વિસ્તારોમાં એકથી અઢી ફુટ પાણી ભરાતા લોકો,વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીઓ વેઠવી પડી છે. પાણી ભરાવાથી તંત્રના કહેવાતા વિકાસની મોટી મોટી ગુલબાંગોના પર્દાફશથી લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. આ ઉપરાંત તાલુકા ગ્રામ્યમાં ખેતરો પાણીથી તરબોળ થતા ખેતીમાં મોટુ નુકશાન થવાથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. તો નળકાંઠા વિસ્તારના ગામો સહિત વાંસવા ચોકડી પાસે રસ્તાઓ નાળા, ડીપમાં મોટા પ્રમાણમાં પાણી વહેતા વાહનવ્યવહારમાં અસર પડી હતી. આ ઉપરાંત તાલુકાના ઓગાણ ગામ પાસે કેનાલ પાળો તુટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. સૌરાષ્ટ્ર થી મુંબઈ એવી જ રીતે મુંબઈ કે અન્ય મોટા શહેર સ્ટેશન તરફ્થી સૌરાષ્ટ્ર તેમજ કચ્છ તરફ્ની કેટલીક ટ્રેન ભારે વરસાદ કારણે રદ કરાતા વિરમગામ રેલવે સ્ટેશન પર ઘણા મુસાફ્રો અટવાઈ જવા પડયા હતા.
માંડલ તાલુકામાં સીમ ખેતરો બેટમાં ફેરવાયાં
માંડલ : અમદાવાદ જિલ્લા ગ્રામ્યના માંડલ સહિત તાલુકાના ખેડુતોએ આ વર્ષે ખરીફ પાકની વાવણી સમયસર કરી હતી અને 50 ટકાથી વધુ તુવેરના પાકનું બમ્પર વાવેતર પણ ધરતીપુત્રોએ કરેલ હતું અને મઠ, અળદ, મગફળી, એરંડા, શાકભાજી તેમજ મોટાપ્રમાણમાં કપાસનું પણ વાવેતર થયું હતું. લગભગ વિસ્તારમાં ખેડુતોએ મોટભાગે વાવણી પુર્ણ કરી દીધી હતી અને વીસેક દિવસમાં ઓછાવત્તા પ્રમાણમાં ખેતીને માફક વરસાદ પડયો હતો. એક સમયે વર્ષ સારું રહેશે અને ખેતીમાં મબલક પાકના ઉત્પાદનો પણ થવાની જે આશાઓ ખેડૂતોની હતી તે મેઘરાજાએ ત્રણ દિવસમાં જ ધમરોળી નાખી છે. છેલ્લાં ત્રણ દિવસથી મેઘો માંડલને પણ ધમરોળી રહ્યો છે. સતત ભારે વરસાદને પગલે તાલુકા મથકની સીમ અને ગ્રામ્ય ખેતરો બેટમાં ફેરવાઈ ગયાં છે. સીમ ખેતરોમાં અધધ પાણી ફરી વળતાં પાક નિષ્ફળ જવાની સંભાવનાઓ વચ્ચે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
Source link