- ઢોરોને રઝળતાં મૂકી દેવાતાં ગાયોના ટોળેટોળાં હાઈવે પર જોવા મળે છે
- અકસ્માતથી મૃત્યુ પામેલી ગાયોના રોડ પર ઠેર ઠેર મૃતદેહો જોઈ લોકોમાં રોષ
- સ્થાનિક તંત્રની લાપરવાહીના લીધે મૂંગા પશુ મોતને ભેટી રહ્યા છે
અમદાવાદ જિલ્લામાં હાઇવે રોડ પર કેટલાક સ્થળોએ પૂરતુ વિઝન ન હોવાના લીધે અનેક પશુઓ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે. શનિવારે નાના-મોટા વાહનોની અડફેટે આવી જતા 3થી 4 ગાયના મોત નીપજ્યા હતાં.
જિલ્લાની બોર્ડર સુધીના વિવિધ હાઇવે પર કેટલાક સ્થળોએ રસ્તાની વચ્ચે ગાયોના ટોળાથી વાહન ચલાવવામાં અડચણો ઊભી થાય છે. રસ્તાની વચ્ચે મૃત્યુ પામેલી ગાયો અને ટોળાં જોઇને હાઇવે પરથી પસાર થતાં લોકોએ તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો.
જિલ્લામાં શનિવારે સરખેજથી લઇ ધંધુકા અને બગોદરા પાસેની બોર્ડર સુધી હાઇવે પર રસ્તા અને ઓવરબ્રિજની વચ્ચે ગાયોના ટોળા જોવા મળ્યા હતાં. કેટલીક ગાયોના મૃતદેહ રસ્તાની વચ્ચે જોવા મળ્યા હતાં. સ્થાનિક તંત્રની લાપરવાહીના લીધે મૂંગા પશુ મોતને ભેટી રહ્યા છે તો વાહનચાલકો અજાણતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જિલ્લાના વિવિધ હાઇવે પર રસ્તા અને ઓવરબ્રિજની વચ્ચે ગાયોના ટોળાં જોવા મળે છે. જેમાં કેટલીક જગ્યાએ લાઇટો ન હોવાથી રસ્તા પર રહેલી ગાયો વાહન ચાલકોને નજરે ચઢતી નથી. વાહન એકદમ નજીક આવે ત્યારે ગાય ઊભી રહેલી જોવા મળે છે, પરંતુ વાહન સ્પીડમાં હોવાથી કંટ્રોલ કરી શકાતું નથી, તેવા કિસ્સામાં ગાય મોતને ભેટે છે. આવા કિસ્સામાં અનેક વાહનચાલકોને સામાન્યથી ગંભીર ઈજા તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય છે.
શ્રાવણ મહિનામાં ગાયોના મોત છતાં તંત્ર ઉદાસીન
સ્થાનિક વાહનચાલકોએ આક્ષેપ કર્યો છેકે, તંત્રની લાપરવાહીના લીધે જિલ્લામાં હાઇવેના રસ્તા પર ગાયોના ટોળા જોવા મળે છે. જિલ્લામાં રિવ્યૂ મિટિંગમાં આ અંગે કોઈ ધારાસભ્યએ રજૂઆત કરી હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. અધિકારીઓ પણ ધ્યાન દોરતા ન હોવાથી કલેક્ટર કે ડીડીઓ આ અંગે ગંભીર નથી. લોકોની સમસ્યાનું નિવારણ લાવવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે, જેના લીધે ગમે ત્યારે ગંભીર અકસ્માતોની ઘટના બની રહી છે.
Source link